સ્પિનની હિલ્સની એસ્ફોર્ડબી સ્ટ્રીટમાં આવેલી જામે મસ્જિદ ખાતેથી લેસ્ટરના મુસ્લિમ અને હિંદુ સમુદાયના આગેવાનોએ શહેરમાં તાજેતરમાં જોવા મળેલા તણાવને સમાપ્ત કરવા માટે તા. 20ના રોજ એક અપીલ કરી હતી અને બન્ને સમુદાયના આગેવાનોએ શહેરમાં બે ધર્મો વચ્ચેની મિત્રતાના ઐતિહાસિક સંબંધો પર ભાર મૂકી એક સંયુક્ત નિવેદન બહાર પાડ્યું હતું.

આ નિવેદનને વાંચતા શહેરના ઇસ્કોન હિંદુ મંદિરના પ્રદ્યુમ્ન પ્રદિપગજ્જરે જણાવ્યું હતું કે “અમે, લેસ્ટરનો પરિવાર, ફક્ત હિન્દુઓ અને મુસ્લિમો તરીકે જ નહીં પરંતુ ભાઈઓ અને બહેનો તરીકે તમારી સામે ઉભા છીએ. આપણા બે ધર્મોના લોકો આ અદ્ભુત શહેરમાં અડધી સદી કરતા વધુ સમયથી સુમેળમાં રહે છે. આપણે આ શહેરમાં સાથે આવ્યા છીએ અને સમાન પડકારોનો સામનો કર્યો છે. સાથે મળીને રેસીસ્ટ લોકો સામે લડ્યા છે. તેથી જ અમે તણાવ અને હિંસા જોઈને દુઃખી અને દિલગીર છીએ. નિર્દોષ વ્યક્તિઓ પરના શારીરિક હુમલાઓ અને મિલકતને અયોગ્ય નુકસાન એ યોગ્ય સમાજનો ભાગ નથી અને ખરેખર, આપણા આસ્થાનો ભાગ નથી. અમે સૌ સાથે મળીને ઉશ્કેરણી અને હિંસા તાત્કાલિક બંધ કરવા અપીલ કરીએ છે. આપણે એક મજબૂત કુટુંબ છીએ અને દરેક તકલીફનો ઉકેલ સાથે મળીને કરીશું. લેસ્ટરમાં વિભાજનનું કારણ બને તેવી કોઈ વિદેશી ઉગ્રવાદી વિચારધારા માટે સ્થાન નથી. અમે બધાને ધાર્મિક સ્થાનો, મસ્જિદો અને મંદિરોની પવિત્રતાનું એકસરખું સન્માન કરવા કહીએ છીએ.’’

LEAVE A REPLY

4 × four =