બોલીવૂડના ચોકલેટી અભિનેતા આમિર ખાન અને તેની પ્રોડ્યુસર પત્ની કિરણ રાવે 15 વર્ષના દાંપત્ય જીવન પછી છૂટાછેડા લેવાનો નિર્ણય કર્યો છે. આમિર અને કિરણે એક સંયુક્ત નિવેદન આ અંગેની જાહેરાત કરી છે કે હવે તે બંનેના રસ્તા અલગ થઈ ગયા છે. બંને હવે પતિ-પત્ની તરીકે સાથે રહેવાના બદલે પોતાની રીતે અલગથી જિંદગી જીવશે.
તેમણે જણાવ્યું હતું કે, ‘આ 15 સુંદર વર્ષોમાં અમે એકસાથે જીવનભરના અનુભવ, આનંદ અને ખુશી શેર કર્યા છે. અમારો સંબંધ ફક્ત વિશ્વાસ, સન્માન અને પ્રેમમાં વધ્યો છે. હવે અમે અમારા જીવનમાં એક નવો અધ્યાય શરૂ કરીશું. પતિ-પત્ની તરીકે નહીં પણ સહ-માતા-પિતા અને પરિવાર તરીકે. અમે થોડા સમય અગાઉ જુદા થવાનું આયોજન શરૂ કર્યું હતું. હવે આ વ્યવસ્થાને ઔપચારિક સ્વરૂપ આપવામાં સહજતા અનુભવી રહ્યા છીએ.’
વધુમાં લખ્યું હતું કે, ‘અમે બંને અલગ અલગ રહેવા છતાં અમારા જીવનને એક વિસ્તારિત પરિવાર તરીકે રહીશું. અમે અમારા દીકરા આઝાદ પ્રત્યે સમર્પિત માતા-પિતા છીએ, તેનું પાલન-પોષણ અમે સાથે મળીને કરીશું. અમે ફિલ્મો, પાની ફાઉન્ડેશન અને અન્ય પરિયોજનાઓ પર પણ સહયોગી તરીકે કામ કરવાનું ચાલુ રાખીશું, જેની અમને દિલથી ચિંતા છે.’
ઉલ્લેખનીય છે કે, આમિર અને કિરણની પ્રથમ મુલાકાત લગાન ફિલ્મના સેટ પર થઇ હતી. બંને વચ્ચે પ્રેમ શરૂ થયો હતો અને 28 ડિસેમ્બર, 2005ના રોજ બંનેએ લગ્ન કરી લીધા હતા. તેમને સરોગેસી દ્વારા પુત્ર આઝાદનું આગમન થયું હતું. આમિરે કિરણ રાવ પહેલા રીના દત્તા સાથે લગ્ન કર્યા હતા.