FILE PHOTO REUTERS/Bhawika Chhabra

એર ઇન્ડિયાએ બુધવાર, 19 જૂને જુલાઈના મધ્ય સુધી વાઇડબોડી પ્લેન સાથે સંચાલિત આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સમાં 15 ટકાનો ઘટાડો કરવાની જાહેરાત કરી હતી. ટાટા ગ્રુપની માલિકીની એરલાઇન વધુ સલામતી તપાસ અને ઈરાની હવાઈ ક્ષેત્ર બંધ થવાને કારણે કામગીરીમાં વિક્ષેપોનો સામનો કરી છે ત્યારે તેને આ જાહેરાત કરી હતી. મુસાફરોને કોઈપણ ખર્ચ વગર મુસાફરી ફરીથી શેડ્યૂલ કરવાનો કે ફૂલ રિફંડનો વિકલ્પ મળશે.

૧૨ જૂનના રોજ અમદાવાદથી ટેકઓફ કર્યા પછી તરત જ લંડન ગેટવિક જનારા બોઇંગ ૭૮૭-૮ વિમાનની દુર્ઘટનાને પગલે એરઇન્ડિયાની ઘણી આંતરરાષ્ટ્રીય ફ્લાઇટમાં મુશ્કેલી પડી છે. ખાસ કરીને B૭૮૭-૮/૯ વિમાનની સઘન સેફ્ટી તપાસને કારણે કેટલીક ફ્લાઇટ રદ પણ કરવી પડી છે. એરલાઇને વિદેશી ફ્લાઇટ્સ પર કામચલાઉ કાપ મૂકવાથી જે મુસાફરોને અસર થશે તેમની માફી પણ માંગી છે.

આ ઉપરાંત, વધારાની સાવચેતીના ભાગ રૂપે, કંપની બોઇંગ 777 વિમાનો માટે ખાસ સલામતી તપાસ હાથ ધરશે. કંપનીએ છેલ્લા છ દિવસમાં ઓછામાં ઓછી 83 આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ રદ કરી છે.

એર ઇન્ડિયાએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે મધ્ય પૂર્વમાં ભૂ-રાજકીય તણાવ, યુરોપ અને પૂર્વ એશિયાના ઘણા દેશોના હવાઈ ક્ષેત્રમાં રાત્રિ કર્ફ્યુ અને હાલના વધારાના સેફ્ટી ઇન્સ્પેક્શનને કારણે ઘણી ફ્લાઇટ રદ કરાઈ છે. એન્જિનિયરિંગ સ્ટાફ અને એર ઇન્ડિયાના પાઇલટ્સ દ્વારા જરૂરી સાવધાનીભર્યું વલણ અપનાવવામાં આવી રહ્યું છે. આ જટિલ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને અમારા સંચાલનમાં સ્થિરતા, વધુ સારી કાર્યક્ષમતા અને મુસાફરોને થતી અસુવિધાને ઓછી કરવા માટે, એર ઇન્ડિયાએ આગામી કેટલાક અઠવાડિયા માટે વાઇડબોડી વિમાનો પર તેની આંતરરાષ્ટ્રીય સેવાઓમાં 15 ટકાનો ઘટાડો કરવાનો નિર્ણય કર્યો છે.

એર ઇન્ડિયાના વિમાન કાફલામાં ત્રણ વાઇડબોડી વિમાનો છે. તેમાં બોઇંગ 787-8/9, બોઇંગ 777 અને A350નો સમાવેશ થાય છે.

 

LEAVE A REPLY