(istockphoto.com)

મુકેશ અંબાણીના વડપણ હેઠળની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝે અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય એરપોર્ટના ડોમેસ્ટીક ટર્મિનલની બહાર ‘ધ ગીર’ ગેલેરીનું નિર્માણ કર્યું છે. ‘ધ ગીર’ એશિયાઈ સિંહોના વિશ્વના એકમાત્ર રહેઠાણ સાસણ ગીરની પ્રતિકૃતિ છે. આ પહેલા રિલાયન્સે 2018માં ‘ધ ગીર’નું નિર્માણ કર્યું હતું. હવે તેને ડિપાર્ચર વિસ્તારની બહાર ખસેડીને તેનું પુનઃનિર્માણ કરવામાં આવ્યું છે, જેથી માત્ર મુસાફરો જ નહીં પરંતુ તેમને લેવા માટે આવતા લોકોને પણ તેનો લાભ મળી રહેશે.

રાજ્યસભા સાંસદ અને રિલાયન્સના કોર્પોરેટ અફેર્સ વિભાગના ડાયરેક્ટર પરિમલ નથવાણીએ અદાણી એરપોર્ટ હોલ્ડિંગના ડાયરેક્ટર જીત અદાણી હાજરીમાં 1 મેના રોજ ગુજરાત સ્થાપના દિવસ પ્રસંગે આ ગેલેરી ખૂલ્લી મૂકવામાં આવી હતી. આ પ્રોજેક્ટ લગભગ 8000 ચોરસ ફૂટ વિસ્તારમાં વિકસાવવામાં આવ્યો છે. આ પ્રોજેક્ટમાં સાસણ ગીરમાં જોવા મળતાં વિવિધ પ્રાણીઓ અને પક્ષીઓ જેમ કે સિંહ, ચિત્તા, બાજ, કાળિયાર, ચીત્તલ, અજગર, વગેરેની પૂર્ણ કદની આશરે 60 પ્રતિકૃતિઓ મૂકવામાં આવી છે. પ્રસિદ્ધ ગીરનું જંગલ સૂકા ઘાસથી છવાયેલું છે તેથી તેની પ્રતિકૃતિમાં પણ કૃત્રિમ સૂકા ઘાસનો ઉપયોગ કરીને ગીરના મૂળ જંગલ જેવું વાતાવરણ તૈયાર કરવામાં આવ્યું છે.