વડાપ્રધાન નરેન્દ્ર મોદી સોમવાર, 2મેના રોજ જર્મનીના ચાન્સેલર ઓલાફ શોલ્ઝને મળ્યા હતા. (ANI Photo)

યુરોપની ત્રણ દિવસની મુલાકાતના ભાગરૂપે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સોમવાર (2મે)એ જર્મનીના ચાન્સેલર ઓલાફ શોલ્ઝને મળ્યા હતા. આ બેઠકમાં બંને નેતાઓ દ્વિપક્ષીય સહકારમાં વધારો કરવાની ચર્ચા કરી હતી. આ અગાઉ બર્લિનમાં વડાપ્રધાન મોદીનું ઇન્ડિયન કમ્યુનિટીના સભ્યોએ ભવ્ય સ્વાગત કર્યું હતું.

બર્લિનમાં પહોંચ્યા બાદ મોદીએ અંગ્રેજી અને જર્મન ભાષામાં ટ્વીટ કરીને જણાવ્યું હતું કે બર્લિનમાં ઉતરાણ થયું છે. આજે ચાન્સેલર ઓલાફ શોલ્ઝ સાથે મંત્રણા કરીશ.અહીં બિઝનેસ લીડર સાથે વિચારવિમર્શ કરીશ અને કમ્યુનિટી પ્રોગ્રામમાં સંબોધન કરીશું. મને વિશ્વાસ છે કે આ મુલાકાતથી ભારત અને જર્મની વચ્ચેની મિત્રતા મજબૂત થશે. બર્લિનમાં વહેલી સવારે ભારતીય કમ્યુનિટીના ઘણા લોકો આવ્યા હતા. તેમની સાથેનું જોડાણ અદભૂત રહ્યું હતું. ભારતને આપણા ડાયાસ્પોરાની સિદ્ધિઓ અંગે ગર્વ છે.

અગાઉના ભારતના વિદેશ મંત્રાલયે જણાવ્યું હતું કે વડાપ્રધાન મોદી 2થી 4મે દરમિયાન ત્રણ દિવસ માટે જર્મની, ડેનમાર્ક અને ફ્રાન્સની યાત્રા પર જશે. ચાલુ વર્ષે મોદીની પ્રથમ વિદેશ યાત્રા છે. મોદી સૌ પ્રથમ જર્મની જશે અને તે પછી ડેનમાર્કની મુલાકાત લેશે.

વડાપ્રધાન મોદી 4મે પરત આવતી વખતે પેરિસમાં થોડા સમય માટે રોકાશે અને ફ્રાન્સમાં ફરીથી ચૂંટાઈ આવેલા પ્રેસિડન્ટ ઇમેન્યુઅલ મેક્રોન સાથે બેઠક કરશે. વિદેશ મંત્રાલયે જણાવ્યું હતું કે બર્લિનમાં વડાપ્રધાન જર્મનીના ચાન્સેલર ઓલાફ શોલ્ઝ સાથે દ્વિપક્ષીય મંત્રણા કરશે અને બંને નેતાઓ ઇન્ડિયા-જર્મની ઇન્ટર ગવર્નમેન્ટલ કન્સલ્ટન્ટેશન (આઇજીસી)ની છઠ્ઠી એડિશનમાં ભાગ લેશે. મંત્રણાના આ પ્લેટફોર્મમાં બંને દેશોના કેટલાંક પ્રધાનો પણ સામેલ થશે.
વિદેશ મંત્રાલયે જણાવ્યું હતું કે આ મુલાકાત દરમિયાન વડાપ્રધાન અને ચાન્સેલર શોલ્ઝ એક બિઝનેસ ઇવેન્ટને સંબોધન કરશે. જર્મનીથી મોદી ડેનમાર્કના વડાપ્રધાન મેટ્ટી ફ્રેડરિકસેનના આમંત્રણને પગલે કોપનહેગન જશે. અહીં તેઓ ઇન્ડો-નોર્ડિક સમીટમાં ભાગ લેશે. વડાપ્રધાન મોદી આ યાત્રા દરમિયાન ઇન્ડિયા-ડેનમાર્ક બિઝનેસ ફોર્મેટમાં ભાગ લેશે અને ઇન્ડિયન કમ્યુનિટીના સભ્યોને સંબોધન કરશે.

ઇન્ડિયા નોર્ડિક સમીટમાં મોદી નોર્ડિક દેશોના વડાઓ સાથે મંત્રણા કરશે, જેમાં આઇસલેન્ડ, નોર્વે, સ્વીડન અને ફિનલેન્ડના વડાનો સમાવેશ થાય છે. આ સમીટમાં આર્થિક રિકવરી, ક્લાઇમેટ ચેન્જ, ઇનોવેશન એન્ડ ટેકનોલોજી, રિન્યુએબલ એનર્જી, વૈશ્વિક સુરક્ષા અને ઇન્ડિયા નોર્ડિક સહકાર જેવા મુદ્દા પર ફોકસ કરાશે.

જર્મનીના બર્લિનમાં સોમવારે વડાપ્રધાન મોદીને ફેડરલ ચાન્સેલરીના પ્રાંગણમાં ગાર્ડ ઓફ ઓનર આપવામાાં આવ્યું હતું. (ANI Photo)