(Photo by SUJIT JAISWAL/AFP via Getty Images)
અજય દેવગણ આવનારા 12 મહિના સુધી ખૂબ જ બિઝી છે. આ સમયગાળા દરમિયાન અજયની સાત ફિલ્મો રિલીઝ થવાની છે. અજયે નીરજ પાંડે સાથેની ફિલ્મ ઔરો મેં કહાં દમ થા, માધવન-જ્યોતિકા સાથેની થ્રિલરનું શૂટિંગ પૂર્ણ કરી લીધું છે. ભત્રીજા અમાન દેવગણ સાથેની ફિલ્મ પણ બની રહી છે. રોહિત શેટ્ટી સાથેની સિંઘમ અગેઈનનું શૂટિંગ ચાલી રહ્યું છે. ત્યારપછી આગામી વર્ષે રેઈડ 2, દે દે પ્યાર દે 2 અને ગોલમાલ 5 શરૂ થવાની છે. આમ, આવનારા 12 મહિનામાં અજયની સાત ફિલ્મો નક્કી થયેલી છે. તાજેતરમાં આ યાદીમાં સન ઓફ સરદારની સીક્વલ ફિલ્મનો પણ સમાવેશ થયો છે.
2012ના વર્ષમાં એક્શન કોમેડી સન ઓફ સરદાર રિલીઝ થઈ હતી, જેમાં અજય દેવગણની સાથે સોનાક્ષી સિંહાની મુખ્ય ભૂમિકા હતી. આ ઉપરાંત સંજય દત્ત અને સલમાન ખાન પણ મહત્ત્વના રોલમાં જોવા મળ્યા હતા. અજયે તેમાં જસ્સી સિંઘ રંધાવાનું પાત્ર ભજવ્યું હતું. પોતાની આ ભૂમિકાને આગળ લઈ જવા માટે અજયે અનેક કલ્પના કરી હતી. અંતે અજયે સીક્વલ માટેની સ્ક્રિપ્ટ પસંદ કરી લીધી છે. સન ઓફ સરદાર 2ની સ્ક્રિપ્ટ ફાઈનલ સ્ટેજમાં છે અને મે 2024માં શૂટિંગ શરૂ થવાની શક્યતા છે.
રેઈડ 2નું શૂટિંગ પૂરું થયા પછી અજયનો આ પ્રોજેક્ટ શરૂ થશે. સન ઓફ સરદારમાં સોનાક્ષી સિંહા કે સંજય દત્તની જગ્યાએ નવા ચહેરાને શોધવાની કવાયત ચાલી રહી છે. સીક્વલમાં અજય દેવગનનો લીડ રોલ નક્કી છે, પરંતુ તે અન્ય પાત્રને બદલવા ઇચ્છે છે. તેની ઇચ્છા બંને ફિલ્મની સ્ટોરીને તદ્દન અલગ રાખવાની છે. બંને સ્ટોરી વચ્ચે એક માત્ર સમાનતા અજયના પાત્રની છે. તે સિવાય અન્ય કોઈ કેરેક્ટર કે કાસ્ટને રીપિટ કરવાની તેમની ઈચ્છા નથી.

LEAVE A REPLY

20 − twelve =