પાકિસ્તાન પ્રેરિત આતંકવાદ સામે ભારતના ઝીરો ટોલરન્સના વલણને વ્યક્ત કરતા ભાજપના સાંસદ રવિશંકર પ્રસાદના નેતૃત્વ હેઠળ યુકે આવેલા સર્વપક્ષીય પ્રતિનિધિમંડળે રવિવારે સાંજે લંડનમાં ભારતીય હાઇ કમિશન ખાતે ભારતીય ડાયસ્પોરાના વિશાળ મેળાવડાને સંબોધન કર્યું હતું. આ વિશાળ મેળાવડામાં 600થી વધુ લોકો ઉપસ્થિત રહ્યા હતા અને ભારત માતા કી જય અને વંદે માતરમના નારાઓ સાથે સમગ્ર વિસ્તાર ગુંજી ઉઠ્યો હતો.
ઇન્ડિયા હાઉસ ખાતે ડાયસ્પોરાને સંબોધતા, રવિશંકર પ્રસાદે કહ્યું હતું કે “અમે સત્ય કહેવા આવ્યા છીએ. આપણે દુઃખદાયક પરિસ્થિતિઓમાંથી પસાર થયા છીએ. પહેલગામનો આતંકવાદી હુમલો માત્ર બર્બરતા જ નહીં પરંતુ માનવતા પર પણ હુમલો હતો. નિર્દોષ લોકોને તેમના ધર્મ વિશે પૂછાને મોત આપવામાં આવ્યું હતું. હવે બહુ થયું. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સ્પષ્ટ કરી દીધું છે – આતંકવાદને હવે સહન કરવામાં આવશે નહીં.”
પ્રસાદે ભારતના મજબૂત લશ્કરી પ્રતિભાવની વિગતે માહિતી આપતાં કહ્યું હતું કે તા. 7 મેના રોજ ભારતીય દળોએ સચોટ આતંકવાદ વિરોધી કાર્યવાહી શરૂ કરી 20 મિનિટથી ઓછા સમયમાં 100 થી વધુ આતંકવાદીઓને હણ્યા હતા. ભારતીય સૈન્યએ બ્રહ્મોસ અને આકાશ જેવી સ્વદેશી મિસાઇલોનો ઉપયોગ કર્યો હતો. સેનાએ પાકિસ્તાની ક્ષેત્રમાં પ્રવેશ્યા વિના 10 થી 11 મુખ્ય એરબેઝ પર હુમલો કર્યો. આ એક સંદેશ હતો કે ભારત દૃઢ નિશ્ચય અને ચોકસાઈ સાથે જવાબ આપશે. અમે પાકિસ્તાનના લોકોની વિરુદ્ધ નથી, પરંતુ આતંકવાદને ટકાવી રાખવામાં તેની લશ્કરી સ્થાપનાની ભૂમિકાને અવગણી શકીએ નહીં.”
ભૂતપૂર્વ કેન્દ્રીય મંત્રી અને જાણીતા પત્રકાર એમ.જે. અકબરે કહ્યું હતું કે “આ ફક્ત હિંસા નથી – તે વંશીય સફાઇ છે. તે ફાસીવાદ છે. અને જ્યાં સુધી આપણે તેને સમજીએ અને સમજાવીએ નહીં, ત્યાં સુધી આપણે એવા લોકોને નિષ્ફળ બનાવીએ છીએ જેમણે પોતાનો જીવ ગુમાવ્યો છે. મહાત્મા ગાંધીએ પોતે 1947માં કાશ્મીર પરના આક્રમણ દરમિયાન આતંકવાદ સામે કડક કાર્યવાહીની હિમાયત કરી હતી.’’
ભૂતપૂર્વ રાજદ્વારી પંકજ સરન અને વરિષ્ઠ અધિકારી વિવેક સરને ઓપરેશન સિંદૂરના સ્કેલ અને ઉદ્દેશ્ય પર પ્રકાશ પાડ્યો હતો.
હાઈ કમિશનર વિક્રમ દોરાઈસ્વામીએ આતંકવાદ સામે સંયુક્ત વૈશ્વિક વલણના મહત્વ પર ભાર મૂક્યો હતો અને ભારત સાથે એકતામાં ઉભા રહેવા બદલ યુકેમાં ભારતીય સમુદાયની પ્રશંસા કરી હતી. તેમણે કહ્યું, “આપણી તાકાત એકતા અને આપણા સહિયારા મૂલ્યોની સ્પષ્ટતામાં રહેલી છે. આજે, ડાયસ્પોરાની વિશ્વ સમક્ષ ભારતના વલણની વાસ્તવિકતા રજૂ કરવામાં મુખ્ય ભૂમિકા છે.”
પ્રસાદની આગેવાની હેઠળની નવ સભ્યોની ટીમ યુરોપિયન પ્રવાસના ભાગ રૂપે ત્રણ દિવસની મુલાકાત માટે શનિવારે અહીં પહોંચી હતી. યુકેમાં ભારતીય હાઈ કમિશનર વિક્રમ દોરાઈસ્વામી દ્વારા પ્રતિનિધિમંડળનું સ્વાગત કર્યું હતું. તા. 31 મે થી 3 જૂન સુધી આ મંડળ લંડનમાં રોકાણ કરશે.
