ભારત સરકારના ગૃહ પ્રધાન અમિતભાઇ શાહે તાજેતરમાં બોટાદ જિલ્લાના સાળંગપુર ખાતેના સુપ્રસિદ્ધ બીએપીએસ મંદિરમાં પ્રમુખસ્વામી મહારાજની સમાધિએ શ્રદ્ધાસુમન અર્પણ કર્યા. આ ઉપરાંત તેમણે તીર્થધામ કુંડળધામમાં ભગવાન સ્વામિનારાયણના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. કેન્દ્રિય ગૃહમંત્રીશ્રી એ કુંડળધામ ખાતેના સ્વામિનારાયણ મંદિર પરિસરમાં સ્થિત ભક્તેશ્વર મહાદેવ અને ભગવાન નીલકંઠની મૂર્તિના પણ ભાવપૂર્વક દર્શન કર્યા હતા. આ અવસરે કુંડળધામ મંદિરના સંતો અને મહંતો દ્વારા ગૃહ પ્રધાનનું સ્વાગત કરવામાં આવ્યું હતું. અમિત શાહે કુંડળધામ ખાતેના મુખ્ય મંદિર તથા શ્રી કુંડલેશ્વર મહાદેવ ખાતે દર્શન- પૂર્જા-અર્ચના કરી હતી. કેન્દ્રિય ગૃહ પ્રધાને દેશના ઉત્કર્ષ-ઉન્નતિ માટે ભગવાન સ્વામિનારાયણ અને સંતોના ચરણોમાં પ્રાર્થના કરી આશીર્વાદ મેળવ્યા હતા. આ પ્રસંગે તેમણે દરબારગઢની મુલાકાત લઈ દર્શન કર્યા હતા. આ અવસરે કુંડળધામ મંદિર તરફથી કેન્દ્રીય ગૃહ પ્રધાન રાહતફંડમાં રૂ. ૧૧ લાખનું દાન આપવામાં આવ્યું. કષ્ટભંજન હનુમાન મંદિરના દર્શન કરી સંતો-મહંતોના આશીર્વાદ તેમણે પ્રાપ્ત કર્યા હતા.