Getty Images)

ખાનગી ક્ષેત્રની યસ બેન્ક લિમિટેડે મુંબઈમાં અનિલ ધીરુભાઈ અંબાણી ગ્રુપની મુખ્ય કચેરી, રિલાયન્સ સેન્ટરને પોતાના કબ્જામાં લઈ લીધી છે. બુધવારે બેન્કે એક જાહેરાતમાં જણાવ્યા મુજબ તેમણે સાંતાક્રુઝ સ્થિત 21,000 ચોરસ ફૂટથી વધુ જગ્યા ધરાવતી મુખ્ય કચેરી તેમજ દક્ષિણ મુંબઈમાં નાગિન મહેલમાં બે માળની ઈમારતનો કબ્જો લઈ લીધો છે.

સિક્યોરિટાઈઝએશન એન્ડ રિકન્સ્ટ્રક્શન ઓફ ફાયનાન્સિયલ એસેટ્સ એન્ડ એન્ફોર્સમેન્ટ ઓફ સિક્યોરિટી ઈન્ટરેસ્ટ એક્ટ (SARFESI) અંતર્ગત 22 જુલાઈના આ બિલ્ડિંગોનો કબ્જો લેવાયો હતો. બેન્કે આ પગલું ત્યારે ભર્યું જ્યારે અનિલ ધીરુભાઈ અંબાણી જૂથ બેન્ક પાસેથી લીધેલા રૂ. 2,892 કરોડના બાકી નાણાં ચૂકવવામાં નિષ્ફળ ગયું છે.

ચાલુ વર્ષે માર્ચમાં અંબાણીએ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટને જણાવ્યું હતું કે યસ બેન્ક માટે એજીડીનું જોખમ સંપૂર્ણ રીતે સુરક્ષિત છે અને કાયદા તેમજ નાણાકીય નિયમોનું પાલન થઈ રહ્યું છે. અનિલ અંબાણી જૂથ પાસે યસ બેન્કનું કુલ રૂ. 12,000 કરોડનું લેણું બાકી છે.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે અનિલ ધીરુભાઈ અંબાણી જૂથનો યસ બેન્કના રાણા કપૂર, તેમના પત્ની અથવા તેમની પુત્રીઓ સાથે કોઈ પ્રત્યક્ષ કે પરોક્ષ સંપર્ક નથી અને તેમના દ્વારા સંચાલિત કોઈ પણ સંસ્થાના સંપર્કમાં પણ તેઓ નથી.
મે મહિનામાં ઈડીએ રાણા કપૂર, તેમની પુત્રીઓ રોશની કપૂર, રાધા કપૂર અને રાખી કપૂર વિરુદ્ધ યસ બેન્કના આર્થિક ફ્રોડના કેસમાં ચાર્જશીટ દાખલ કરી હતી.

આ ઉપરાંત ચાર્જશીટમાં મોર્ગન ક્રેડિટ્સ, યસ કેપિટલના નામ પણ સામેલ છે. પ્રશાંત કુમારને તાજેતરમાં યસ બેન્કના મેનેજિંગ ડિરેક્ટર નિયુક્ત કરાયા છે.2008માં અનિલ અંબણી વિશ્વના સૌથી ધનિકોની યાદીમાં છઠ્ઠા ક્રમે હતા પરંતુ ટેલિકોમ, પાવર અને એન્ટરટેઈન્મેન્ટ ક્ષેત્રમાં નુકસાનને પગલે તેમના પર ઋણ બોજ વધતો ગયો હતો.