નોર્થ લંડનના એજવેરના બસ સ્ટોપ પર 66 વર્ષીય દાદી અનિતા મુખીના પરિવારે તેમના હત્યારા 24 વર્ષીય જલા ડેબેલાને મેન્ટલ હેલ્થ એક્ટ હેઠળ અનિશ્ચિત સમય માટે સુરક્ષિત સાઇકીઆટ્રીક સુવિધામાં રાખવાનો આદેશ આપવામાં આવ્યા બાદ પોતાનો વિરોધ વ્યક્ત કર્યો છે.

24 વર્ષીય જલા ડેબેલાએ 9 મે 2024 ના રોજ એજવેરમાં મુખી પર ધોળા દિવસે હુમલો કરી છરાના 18 વાર કરી હત્યા કરી હતી અને ત્યાંથી ચાલ્યો ગયો હતો.

23 જાન્યુઆરીના રોજ ઓલ્ડ બેઇલીમાં થયેલી સુનાવણી બાદ જ્યુરીએ ડેબેલાને હત્યા માટે જવાબદાર ઠેરવ્યો હતો પરંતુ પેરાનોઇડ સ્કિઝોફ્રેનિયાને કારણે હત્યાના કેસનો સામનો કરવા માટે તે ખૂબ જ બીમાર હોવાનું માનવામાં આવ્યું હતું.

/* */

કોર્ટમાં રજૂ કરાયેલા નવા પુરાવાઓમાં ચિંતાજનક વિગતો પ્રકાશિત થઈ હતી. જેમાં ડેબેલા માનસિક સ્વાસ્થ્ય સમસ્યાઓ ધરાવતા લોકો સાથે રેસીડેન્સીયલ હોમમાં રહેતો હતો અને તેમ છતાં તે ઓનલાઈન છરો ખરીદી શક્યો હતો અને હુમલાના લગભગ એક કલાક પહેલા તેને પહોંચાડવામાં આવ્યો હતો.

જ્યુરીઓએ એવું પણ સાંભળ્યું કે તેને હિંસક ઓનલાઈન સામગ્રી પ્રત્યે લગાવ હતો અને ઘટનાના થોડા સમય પહેલા “હત્યાનો વિડિઓ” જોયો હતો.

એક નિવેદનમાં, મુખીના પરિવારે જણાવ્યું હતું કે આ કેસમાં માનસિક સ્વાસ્થ્ય સેવાઓમાં જોખમનું મૂલ્યાંકન કેવી રીતે કરવામાં આવે છે તે અંગે “ખૂબ જ ચિંતાજનક તથ્યો” ઉભા કરવામાં આવ્યા હતા અને સપોર્ટેડ હાઉસિંગમાં શસ્ત્રોના ઓનલાઈન વેચાણ અને સલામતી નિયંત્રણોની સંપૂર્ણ સમીક્ષા કરવાની હાકલ કરી હતી.

મુખીના પતિએ સ્વ. અનિતાને પોતાના ઘરનું કેન્દ્ર ગણાવ્યાં હતાં અને તેણીનો જીવ બચાવવાનો પ્રયાસ કરનાર ઇમરજન્સી સેવાઓ અને જાહેર જનતાનો આભાર માન્યો હતો.

LEAVE A REPLY