ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારે નવી દિલ્હી ખાતે નવા સંસદ ભવનની છત પર વિશાળ રાષ્ટ્રીય પ્રતિક અશોક સ્તંભનું અનાવરણ કર્યું હતું. (ANI Photo/ ANI Pic Service)

વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા નવા સંસદ ભવન ઉપર અનાવરણ કરવામાં આવેલા રાષ્ટ્રીય પ્રતીક અશોક સ્તંભના  મુદ્દે વિવાદ ઊભો થયો છે. વિપક્ષો અને એક્ટિવિસ્ટ્સે રાષ્ટ્રીય પ્રતીકમાં સુધારા કરીને તેના અપમાનનો પણ આક્ષેપ કર્યો છે. તેમનું કહેવું છે કે અશોક સ્તંભના રહેલા અગાઉના સિંહોના ભાવ સાથે ચેડાં કરાયા છે. મૂળ કૃતિના ચહેરા પર સૌમ્યતા અને વિશ્વાસનો ભાવ છે, જ્યારે અમૃત કાળમાં બનેલી મૂળ કૃતિની નકલના ચહેરા પર માણસ, પૂર્વજો અને દેશનું  ભક્ષણ કરી જવાની આક્રમક આદમખોર પ્રવૃત્તિનો ભાવ દેખાય છે. તેમણે આ કૃતિને બદલવાની માગણી કરી છે.

કોંગ્રેસના લોકસભાના નેતા અધીર રંજન ચૌધરીએ જણાવ્યું હતું કે ‘નરેન્દ્ર મોદીજી સિંહનો ચહેરો જુઓ, શું તે મહાન સારનાથની પ્રતિમાનું પ્રતિનિધિત્વ કરે છે કે ગીરના સિંહના બગડેલું સ્વરૂપ છે. આની તપાસ કરો અને જરૂર જણાય તો સુધારો.’ ટ્વિટર પર રાષ્ટ્રીય પ્રતીકના બે વિવિધ તસ્વીરો શેર કરીને તૃણમૂલ કોંગ્રેસના રાજ્યસભાના સાંસદ જવાહર સિરકારે કહ્યું હતું કે ‘અમારા રાષ્ટ્રીય પ્રતીક અશોકના સિંહોનું અપમાન છે. વાસ્તવિક સિંહનો ચહેરો સૌમ્ય અને વિશ્વસ્ત દેખાય છે. સંસદની નવી ઇમારત પર મુકવામાં આવેલા સિંહનો ચહેરો બિનજરૂરી આક્રમક અને બગડેલો છે. શરમ કરો. તેને તત્કાળ બદલો.’ ઇતિહાસકાર એસ ઇરફાન હબીબે પણ સંસદની નવી ઇમારતની ઉપર મુકવામાં આવેલા રાષ્ટ્રીય પ્રતીકનો વિરોધ કર્યો છે. આમ આદમી પાર્ટીએ પણ આને દેશની બંધારણીય પરંપરાનું અપમાન ગણાવ્યું હતું. તેણે કહ્યું હતું કે બંધારણીય હેરિટેજ સાથે કોઇ કોઇપણ સ્વરૂપે ચેડા નહિ.