A medical worker wearing a face make and protection gear tends to patients inside the new coronavirus intensive care unit of the Brescia Poliambulanza hospital, Lombardy, on March 17, 2020. (Photo by Piero CRUCIATTI / AFP) (Photo by PIERO CRUCIATTI/AFP via Getty Images)

એશિયન અને બ્લેક સમુદાયના દર્દીઓ, ડોકટર્સ, નર્સીઝ અને કેર ગીવર્સ લોકોના મૃત્યુનો દર વધી રહ્યો છે ત્યારે કોવિડ-19થી વધતી જતી જાનહાનીથી બચવા સરકારને તાત્કાલિક કાર્યવાહી કરવા અને તેની તાકીદે તપાસ કરવા માટે અડધો ડઝનથી વધુ ટોચની તબીબી સંસ્થાઓ અને સીનીયર ડોક્ટર્સે માંગ કરી છે.

ઘણા લોકોને ડર છે કે મિનિસ્ટર્સ વંશીય લઘુમતીઓને અસર કરતી આ કટોકટીની ગંભીરતા પારખવામાં મોટા પાયે ગેરસમજ કરી રહ્યા છે. આ ‘જીવન અને મરણનો સવાલ છે’. વાયરસથી મૃત્યુ પામેલા એનએચએસ સ્ટાફના ત્રીજાભાગના લોકો એશિયન, બ્લેક અને લઘુમતી છે અને એનએચએસ કન્ફેડરેશનના અધ્યક્ષ લોર્ડ એડેબોલેએ કહ્યું છે કે આ મૃત્યુ સંખ્યાતો હિમશીલાની ટોચ સમાન હોઈ શકે છે.

મેઇલ ઓન સન્ડે દ્વારા જાહેર કરાયા મુજબ, કોવિડ-19થી મૃત્યુ પામેલા કુલ 26 ડૉક્ટરોમાંથી 25 અને એનએચએસ સ્ટાફના 66 ટકા લોકો વંશીય લઘુમતી જૂથોના છે. કોવિડ-19 કરાણે ઇન્ટેન્સીવ કેર યુનિટમાં સારવાર લઇ રહેલા લોકોમાથી ત્રીજા ભાગના લોકો બ્લેક અથવા એશિયન દર્દીઓ છે. તેની સામે તેમની વસતી યુકેમાં માત્ર 13 ટકા છે. મૃત્યુ પામેલ 35 નર્સીઝ અને 27 હેલ્થકેર સપોર્ટ વર્કર્સમાંથી બે તૃતીયાંશ બ્લેક, એશિયન અથવા અન્ય વંશીય જૂથોના છે. કેટલાકના મતે આ આંકડાઓ હિમશીલાની ટોચ સમાન છે અને સમુદાયમાં ટેસ્ટનો અભાવ તેમ જ મૃત્યુના પ્રમાણપત્રો પર વંશીયતાની નિયમિતપણે નોંધ કરવામાં આવતી નથી.

આ મહિનાની શરૂઆતમાં, પબ્લિક હેલ્થ ઇંગ્લેન્ડે કહ્યું હતું કે તે બ્લેક અને એશિયન લોકોની બીમારી અને મૃત્યુના ઉંચા દરની સમીક્ષા કરશે. શુક્રવારે તા. 24ના રોજ પૂર્વ ઇક્વાલીટી વોચડોગ ચીફ ટ્રેવર ફિલિપ્સ તપાસની આગેવાની લેશે તેમ જાહેર થયુ હતુ પરંતુ તે તપાસ શું કામ આવશે અથવા કેટલો સમય લાગશે તે અંગે કોઈ વિગતો બહાર જાહેર કરાઈ નથી. બેરોનેસ ડોરેન લોરેન્સના નેતૃત્વ હેઠળ લેબરે પણ પોતાની તપાસની જાહેરાત કરી છે.

પરંતુ ગુસ્સે થયેલા સ્ટોક ઑન-ટ્રેન્ટના જી.પી. અને લગભગ 2,500 ફ્રન્ટલાઈન એનએચએસ તબીબોનું પ્રતિનિધિત્વ કરતા બ્રિટીશ ઇન્ટરનેશનલ ડૉક્ટર્સ એસોસિએશનના અધ્યક્ષ, ડૉ. ચંદ્ર કન્નેગંટીએ તા. 27ની રાત્રે જણાવ્યું હતું કે, ‘સરકારને તાત્કાલિક આની તપાસ માટે એક ટાસ્ક ફોર્સ બનાવવાની જરૂર છે, અઠવાડિયા કે મહિનાઓમાં નહીં. બ્લેક, એશિયન અને વંશીય લઘુમતી જૂથોના ડોકટરો વિના, કોવિડ-19 કટોકટીને કારણે એનએચએસ તૂટી ગયું હોત. તેમ છતાં જ્યારે કેટલાકને ચેપનું જોખમ વધતુ હોય ત્યારે તેમને ફન્ટ લાઈનમાં સેવા આપવાનું કહેવું એ આપઘાત કરવાનું કહેવા જેવું છે.’’

બ્રિટિશ મેડિકલ એસોસિએશનના નેતા ડૉ. ચંદ નાગપૌલે ચેતવણી આપી હતુ કે ‘આ આંકડા એટલા અસ્પષ્ટ છે કે આપણે તેમને અવગણવું પોસાય તેમ નથી. કોવિડ-19 ચેપના જોખમ સામે એનએચએસ કામદારોને સુરક્ષિત રાખવા તાત્કાલિક પગલાં લેવાની જરૂર છે. બેમ મેડિક્સ જોખમી પરિબળો સામે સુરક્ષિત હોવા જોઈએ. મેં એવા અહેવાલો સાંભળ્યા છે કે કેટલીક હોસ્પિટલો તેમને કોવિડ-19 ફ્રન્ટ લાઇનથી અલગ બીજી ભૂમિકાઓ પર મૂકી રહી છે. તે સારા સમાચાર છે પરંતુ વધુ વ્યવસ્થિત રાષ્ટ્રીય અભિગમની જરૂર છે.’’

એનએચએસ કન્ફેડરેશનના અધ્યક્ષ લોર્ડ એડેબોલેએ સરકારને તપાસ માટેની મુદત પર સંમત થવાની માંગ કરતા જણાવ્યુ હતુ કે ‘’પુરાવા જણાવી રહ્યા છે કે બેમ પૃષ્ઠભૂમિના ફ્રન્ટલાઈન હેલ્થ અને સોશ્યલ કેર કામદારો અસામાન્ય રીતે અસરગ્રસ્ત છે અને કોરોના વાઈરસથી હોસ્પિટલમાં મૃત્યુ પામે છે. આ તો હિમશીલાની ટોચ બરોબર હોઇ શકે છે કેમ કે અમને હોસ્પિટલોની બહાર શું થઈ રહ્યું છે તે વિશે જાણ નથી. આ બેમ સમુદાયોના ફ્રન્ટલાઈન સ્ટાફ માટે જીવન અને મરણની બાબત છે અને તેના પર તાત્કાલિક ધ્યાન આપવાની જરૂર છે. તેમના મૃત્યુ પાછળનાં પરિબળો અને જોખમો ઘટાડવા માટે હવે અને ભવિષ્યમાં શું કરી શકાય છે તે જાણવું ખૂબ જ મહત્વનું છે.’’

દેશની અગ્રણી મેડિકલ રોયલ કોલેજીસ પણ બ્લેક અને એશિયન લોકોના મૃત્યુની તપાસને પ્રાથમિકતા આપવા સરકારને વિનંતી કરી રહી છે. તેઓ ઇચ્છે છે કે સરકાર તરત જ NHS ટ્રસ્ટ્સની હોસ્પિટલમાં દાખલ દરેક કોવિડ-19 દર્દી તેમજ મૃત્યુ પામેલા લોકોની વંશીય પૃષ્ઠભૂમિની નિયમિત નોંધ કરે. જેથી વૈજ્ઞાનિકોને વધુ મુશ્કેલીઓનો સામનો કરવો ન પડે અને તેના નિરાકરણમાં મદદ મળે.

રોયલ કૉલેજ ઑફ ફિઝિશિયન્સે સ્વીકાર્યું હતુ કે કોઈપણ તપાસ પડકારજનક હશે, કેમ કે તેમાં વ્યક્તિગત કેસો વિશેની વિગતવાર માહિતીનો સમાવેશ કરવામાં આવતો નથી. તેના પ્રવક્તાએ કહ્યું હતુ કે ‘આ મુદ્દા પર તાકીદે ધ્યાન આપવાની જરૂર છે, કેમ કે વયની જેમ જ વંશીયતાને પણ જોખમનું પરિબળ માનવું જોઈએ.’’

રોયલ કૉલેજ ઑફ ઑબ્સ્ટેટ્રિશિયન્સ અને ગાયનેકોલોજિસ્ટ્સના અધ્યક્ષ ડો. એડવર્ડ મોરિસે કહ્યું હતુ કે ‘આ આશ્ચર્યજનક વિષમતા કેમ છે તે શોધવા માટે આપણે બધાંએ મોતની નોંધણી અને વિશ્લેષણ કરવું જોઈએ. અમે પહેલેથી જ જાણીએ છીએ કે અમુક વંશીય જૂથોની સ્ત્રીઓમાં સ્વાસ્થ્યની અગાઉની સમસ્યાઓ અને મુશ્કેલીઓ હોવાની સંભાવના વધારે હોય છે.’

રોયલ કોલેજ ઑફ જી.પી.ના અધ્યક્ષ પ્રોફેસર માર્ટિન માર્શલે પબ્લિક હેલ્થ ઇંગ્લેન્ડને ઝડપથી કામ કરવા વિનંતી કરી હતી. તો રોયલ કોલેજ ઑફ સર્જન ઑફ ઇંગ્લેન્ડે કહ્યું કે શક્ય તેટલી વહેલી તકે બધા ઉપલબ્ધ ડેટા એક સાથે મેળવવા જોઈએ. રોયલ કૉલેજ ઑફ નર્સિંગે 40 ટકા જેટલી નર્સ કેટલાક વિસ્તારોમાં વંશીય લઘુમતીઓની હોવા છતાં આ અંગે કોઈ ટિપ્પણી કરવાનો ઇનકાર કર્યો હતો. રાજ્યના આરોગ્ય વિભાગના ભૂતપૂર્વ સચિવ અને હેલ્થ સિલેક્શન કમિટીના અધ્યક્ષ જેરેમી હન્ટ આ મુદ્દે મૌન રહ્યા હતા.યુવાન બ્લેક અને એશિયન ડોકટરોને ભય છે કે આ મુદ્દે ધ્યાન આપવાની જરૂર હોવા છતાં સંસ્થાકીય રેસિઝમને કારણે તેના પર ધ્યાન આપવામાં નહીં આવે.

બર્મિંગહામ કમ્યુનિટી હોસ્પિટલના સમાનતા, વિવિધતા અને માનવાધિકારના વડા, કેરોલ કૂપરે નર્સિંગ ટાઇમ્સ સાથેની મુલાકાતમાં કહ્યું હતુ કે ‘કેટલીક વંશીય લઘુમતીની નર્સીઝ કહે છે કે તેમને સામાન્ય વોર્ડમાંથી ઉઠાવીને કોવિડ વોર્ડમાં મૂકવામાં આવે છે. તેમને લાગે છે કે ત્યાં પૂર્વગ્રહ દાખવવામાં આવે છે. તેથી ઘણા ગભરાય છે.’

વૈજ્ઞાનિકો માને છે કે ‘’સાંસ્કૃતિક, આર્થિક અને સંભવત આનુવંશિક પરિબળોના જટિલ મિશ્રણને કારણે બેમ લોકોને વધુ ચેપ લાગે છે. ભારત, શ્રીલંકા અથવા પાકિસ્તાનના લોકોમાં આનુવંશિક વલણને કારણે ટાઇપ-2 ડાયાબિટીસનું જોખમ વધારે હોય છે. લંડન અને બર્મિંગહામ જેવા મોટા શહેરોના ગરીબ લોકો વધુ ગીચ ઘરોમાં રહેતા હોય છે, મોટાભાગે વિસ્તૃત પરિવાર સાથે રહે છે અને તેથી ત્યાં વાઈરસ ફેલાવાની શક્યતા વધારે હોય છે. વળી બસ ડ્રાઈવર્સ, ક્લીનર્સ અથવા સુપરમાર્કેટ વર્કરની નોકરીઓમાં વાઈરસનો ચેપ લાગવાનું મોટું જોખમ હોય છે.