બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થાના આધ્યાત્મિક વડા મહંત સ્વામી મહારાજે સૌને હાર્દિક અપીલ કરતાં જણાવ્યું છે કે, ‘વર્તમાન સમયે ભારત અને વિશ્વના અનેક દેશો ભયાનક કટોકટીમાંથી પસાર થઈ રહ્યા છે. વિશ્વના ઈતિહાસમાં કદાચ આટલું મોટું સંકટ ક્યારેય આવ્યું નહીં હોય. આ સંકટમાંથી સૌને ઉગારવા માટે સરકાર, આરોગ્ય તંત્ર તેમજ અનેક લોકો પોતાના જીવનું જોખમ ઉઠાવીને દિવસ-રાત પ્રયાસ કરી રહ્યા છે. પરંતુ એમનો બોજ ઘટાડવા માટે, આપણી તથા સમાજની સલામતી માટે, સૌ પોતાના ઘરમાં જ રહે તે અતિઆવશ્યક છે.’

વધુમાં તેમણે જણાવ્યું છે કે, આપ સૌ જાણો છો કે કોરોના વાઈરસની મહામારીમાંથી બચવા અને બચાવવા માટે સોશિયલ ડિસ્ટન્સ એ જ એક માત્ર સર્વશ્રેષ્ઠ ઉપાય છે. માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વિશ્વભરના અનુભવોને બરાબર સમજીને 21 દિવસ સુધી લોકડાઉનનો સંદેશ આપ્યો છ. ત્યારે સૌ કોઈએ તેનું ખૂબ ગંભીરતાથી પાલન કરવું જ રહ્યું. તેમાં જ આપણું, સમગ્ર પરિવારનું, ઘરમાં રહેલાં બાળકો અને વડીલોનું, સમાજનું અને દેશનું ભલું રહેલું છે. તો કૃપા કરીને સૌ ખૂબ ગંભીરતાથી અનુસરીને લોકડાઉનમાં સહયોગ આપે તેવી આગ્રહપૂર્વક વિનંતી કરું છું.

સરકારી તંત્ર દ્વારા અપાયેલી સૂચના મુજબ વારંવાર હાથ ધોવાનું રાખીએ, પરિવારમાં પણ એકબીજાથી સલામત અંતરે રહીએ, મોં પર માસ્ક બાંધીએ વગેરે સૂચનાઓનું ગંભીરતાથી અનુસરણ કરીએ. સાથે સાથે નિયમિત રીતે ભગવાનને પ્રાર્થના કરીએ કે આ સંકટમાંથી વહેલાંમાં વહેલી તકે સૌની રક્ષા થાય. સરકાર તથા સમાજના હિત માટે કાર્ય કરી રહેલા ડોક્ટરો, નર્સો, મેડીકલ ક્ષેત્રના સર્વે કાર્યવાહકો, મિડિયાના સર્વે કાર્યકર્તાઓ, આહાર પ્રવૃત્તિથી લઈને સ્વચ્છતાના કર્મચારીઓ સુધી જુદા જુદા ક્ષેત્રના સૌ કોઈની જહેમતને બિરદાવીએ અને ઘરમાં રહીને તેમને આપણે સાચા હૃદયથી સહયોગ આપીએ.’