નીસ્ડનના બોચાસણવાસી શ્રી અક્ષર પુરુષોત્તમ સ્વામીનારાયમ સંસ્થાના મંદિર દ્વારા યુકેમાં હાલની કોરોના વાઈરસના રોગચાળાની કટોકટીના સંજોગોમાં દેશની સેવા કરી રહેલા હજ્જારો કી વર્કર્સને અંજલિ આપતો એક નવો વિડિયો પ્રસ્તુત કરાયો છે.

એક કવિતા ઉપર આધારિત આ નવા વિડિયોમાં વિવિધ ક્ષેત્રોના એક સો કાર્યકરો – ડોક્ટર્સ, નર્સીઝ, ફાર્માસિસ્ટ્સ તેમજ અન્ય લોકોને પ્રસ્તુત કરાયા છે. આ લોકો સહિતના હજ્જારો એશિયન, બ્લેક તથા માઈનોરિટી એથનિક કી વર્કર્સ હાલમાં રોગચાળાના મોરચે મોખરે રહી દેશની અને દર્દીઓની સેવાઓ કરી રહ્યા છે.

બ્રિટનમાં હિન્દુઓની વસતી લગભગ એક મિલિયનની (દસ લાખ) છે, જે દેશની કુલ વસતીનો તો બે ટકાથી પણ ઓછો હિસ્સો થાય છે. જો કે, હેલ્થકેર ક્ષેત્રમાં તેમજ અન્ય કી વર્કર્સ પોઝિશનમાં કામ કરનારાઓમાં બ્રિટિશ હિન્દુઓનું પ્રમાણ ઘણું જ મોટું છે.

બ્રિટિશ હિન્દુઓમાં જોવા મળતી જાહેર સેવાઓ પ્રત્યેની સમર્પિતતા હિન્દુ ધર્મ અને વિચારધારામાં સમાયેલી નિસ્વાર્થ સેવાના મૂલ્યોમાં સમાયેલી હોવાનું દર્શાવાયું છે. નિઝડન મંદિરના સ્થાપક, પ.પૂ.ધ.ધૂ. પ્રમુખ સ્વામી મહારાજે પણ તેમના અનુયાયીઓને શિખવ્યું હતું કે, “બીજાના આનંદમાં જ આપણો આનંદ સમાયેલો છે.”

આ વિડિયોની કવિતાનું શિર્ષક છે ‘સર્વિંગ ટુગેધર ઈન ધી જોય ઓફ અધર્સ’ અને કવિતાના મુખ્ય સંદેશામાં આ જ ઉપદેશ સમાયો છે.

વિડિયોમાં કવિતાની દરેક પંક્તિનું પઠન, પ્રસ્તુતી નિઝડન મંદિરના સત્સંગીઓ એવા બ્રિટિશ હિન્દુઓ દ્વારા કરાયા છે. આ સર્વેમાં મેડિકલ પ્રોફેશનલ્સ, હોસ્પિટલ એડમિનિસ્ટ્રેટર્સ, લેબ રીસર્ચર્સ, શોપકીપર્સ, હોસ્પિટલના એક શેફ, એક બસ ડ્રાઈવર તેમજ એક પાયલોટનો પણ સમાવેશ થાય છે.

આ વિડિયોમાં અથાક રીતે અને નિસ્વાર્થપણે આપણા દેશના લોકોને બચાવવા તથા લોકોનું જીવન બચાવવા, ઘણાખરા કિસ્સાઓમાં તો પોતાના ખુદના જીવના જોખમે પણ કામ કરી રહેલા તમામ કી વર્કર્સને અંજલિ આપવામાં આવી છે, તેમના પ્રત્યે આભારની લાગણી વ્યક્ત કરાઈ છે.

બે મિનિટનો આ વિડિયો ઓરિજિનલ મ્યુઝિક સાથે યુટ્યુબ ઉપર પણ જોઈ શકાય છે. આ વનિડિયો જોવા માટે ક્લીક કરો https://bit.ly/35BJopQ