ખેડૂતોના દિલ્હી ચલો આંદોલનને સમર્થન આપવા નવી દિલ્હીમાં દિલ્હી-ઉત્તરપ્રદેશ સરહદ પર મોટી સંખ્યામાં ખેડૂતો એકઠા થયા હતા. (PTI Photo/Arun Sharma)

દિલ્હીમાં આંદોલન કરી રહેલા ખેડૂતોએ આઠ ડિસેમ્બરે આપેલા ભારત બંધના એલાન ગુજરાતમાં નહિવત અસર જોવા મળી હતી. રાજ્યમાં એકંદરે શાંતિ અને વ્યવસ્થા જળવાઈ રહી હતી અને કોઇ અનિચ્છનિય ઘટના બની ન હતી. રાજ્યમાં એકંદરે રાબેતા મુજબ જીવન જીવન અને વાહન વ્યવહાર રહ્યો હતો.

ભારત બંધનના એલાનને પગલે રાજ્ય સરકારે સાવચેતીના પગલાંરૂપે સુરક્ષાનો બંદોબસ્ત કર્યો હતો. જોકે અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટમાં કોંગ્રેસના કાર્યકરો અને ખેડૂત નેતાઓ દેખાવ કર્યો હતો અને હાઇવે પર ટાયર સળગાવીને વિરોધ વ્યક્ત કરી હતી. તેનાથી જનજીવન અને વાહન વ્યવહારને અસર થઈ હતી. વિવિધ હાઇવે પર ટાયર સળગાવવામાં આવતા આગજનીના બનાવો બન્યા હતા. ભારત બંધના સમર્થનમાં ઉતરેલા કોંગ્રેસના નેતા અને કાર્યકરો તથા ખેડૂતોની અટકાયત કરાઈ હતી. અમરેલીમાં વિપક્ષ નેતા પરેશ ધાનાણીની અટકાયત કરાઈ હતી. અમરેલી શહેરને ભારત બંધ સાથે જોડવા માટે વિપક્ષના નેતા પરેશ ધાનાણી પોતાનુ સ્કૂટર લઈને રસ્તા પર ઉતરી આવ્યા હતા અને દુકાનદારોને બંધમા જોડાવા વિનંતી કરતા નજરે પડ્યા હતા

કોંગ્રેસી કાર્યકરો દ્વારા વહેલી સવારથી જ રાજ્યના તમામ એપીએમસી બંધ કરાવાના પ્રયાસો હાથ ધર્યા હતા. રાજ્ય સરકારે સાવચેતીના પગલાં તરીકે સમગ્ર રાજ્યમાં 144ની કલમ લાગુ કરી દીધી હતી. કોંગ્રેસી કાર્યકરોએ રાજ્યના મુખ્ય ચાર શહેરોમાં હાઇ વે પર ટાયરો સળગાવ્યાં હતા.

ખેડુતોએ આપેલા ભારત બંધના પગલે અમદાવાદ જિલ્લા કોંગ્રેસે વહેલી સવારે અમદાવાદ-કંડલા હાઈવે પર દેખાવો કર્યા હતા, જ્યારે બીજી તરફ વડોદરા, ભરૂચ સહિતના હાઈવે પર દેખાવો કર્યા હતા. અમદાવાદ કંડલાને જોડતા હાઈવે પર ટાયરો સળગાવી ચક્કાજામ કર્યો હતો. વહેલી સવારે ટાયરો સળગાવી અને આડશો મૂકીને આ હાઇવે બંધ કર્યો હતો. અમદાવાદ જિલ્લા કોંગ્રેસના કાર્યકરોએ આ વિરોધ પ્રદર્શન કર્યુ હતુ. જો કે બાદમા પોલીસે પહોંચીને કોંગી કાર્યકરોની અટકાયત કરી હતી. ટાયરો સળગાવતા હાઇવે પર વહેલી સવારે વાહનોની કતાર લાગી હતી.

કૃષિ બિલના વિરોધ વડોદરા નજીક પણ હાઇવે પર કોંગ્રેસે વહેલી સવારે વિરોધ કર્યો હતો. ખેડૂત આંદોલનના સમર્થનમાં વડોદરા શહેર કોંગ્રેસ દ્વારા હાઇવે પર ચક્કકાજામ કરાયો હતો. વહેલી સવારે ટાયરો સળગાવી આ વિરોધ કરાયો હતો.