ગુજરાતના મુખ્યપ્રધાન વિજયભાઈ રૂપાણીએ શનિવારે અમદાવાદમાં સાયન્સ સિટી ખાતે એક્વેટિક-રોબોટિક ગેલેરી અને નેચર પાર્ક ની મુલાકાત લીધી હતી. આ મુલાકાત બાદ રૂપાણીએ જણાવ્યું હતું કે, અમદાવાદ સાયન્સ સીટી ગુજરાત જ નહીં દેશ આખાનું આકર્ષણ છે. રાજ્યના બાળકો યુવાનોમાં વિજ્ઞાન પ્રત્યેની જીજ્ઞાસા ને વધુ પ્રબળ બનાવવા સરકાર કટિબદ્ધ છે. સાયન્સ સિટીમાં તૈયાર થનારા વિવિધ વિજ્ઞાન પ્રકલ્પો એ તરફના જ કદમ છે. રૂ. ૨૫૦ કરોડના ખર્ચે નિર્માણ પામનારી એક્વેટિક ગેલેરી દેશ અને રાજ્યના મુલાકાતીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બની રહેશે. તેમણે સાયન્સ સિટી ખાતે નિર્માણાધિન એક્વેટિક ગેલેરીમાં અંડરવોટર વોક-વે ટનલની મુલાકાત લીધી હતી.
આ એક્વેટિક ગેલેરીમાં દુનિયાના વિવિધ મહાસાગરો, ઝોન માંથી વિશિષ્ટ પ્રકારની માછલીઓ અને વિવિધ પ્રજાતિની માછલીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. અમદાવાદના સાયન્સ સિટીમાં ટૂંક સમયમાં જ દેશની સૌથી મોટી એક્વેટિક ગેલેરી આકાર પામવા જઇ રહી છે ત્યારે દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના હસ્તે આ એક્વેટિક ગેલેરી નું આવનારા દિવસોમાં ઉદઘાટન કરાવીને રાજ્ય અને દેશના નાગરિકો માટે સમર્પિત કરવામાં આવશે.
આ ઉપરાંત રાજ્યના દરેક જિલ્લામાં વિજ્ઞાન કેન્દ્રો પણ વિકસાવવામાં આવશે તેમ રૂપાણી એ જણાવ્યું છે. વિજય રૂપાણી સાયન્સ સિટીના વિવિધ પ્રકલ્પોની કામગીરીની સમીક્ષા અને નિરીક્ષણ મુલાકાતે આવ્યા હતા. સાયન્સ સિટીમાં ટૂંક સમયમાં જ ગ્લોબલ રોબોટિક ગેલેરી અને દેશની સૌથી મોટી એક્વેટિક ગેલેરી તૈયાર થવા જઇ રહી છે, તે આવનારા દિવસોમાં આગવું આકર્ષણ બનશે અને તેનાથી રાજ્યના બાળકો વિજ્ઞાનની દુનિયામાં ઓતપ્રોત થઇ શકશે. મુખ્યમંત્રીએ આ ઉપરાંત સાયન્સ સિટીમાં તૈયાર થઈ રહેલ નેચરપાર્કની પણ મુલાકાત લીધી હતી.