ભરુચના ભાજપના વિવાદાસ્પદ મનસુખભાઇ વસાવાએ સંસદ સભ્યપદેથી રાજીનામું આપ્યું છે. તેમણે પોતાનું નારાજીનામું ભાજપના પ્રદેશ પ્રમુખ સી. આર. પાટીલને રાજીનામાનો પત્ર મોકલી આપ્યો છે. તેમણે જણાવ્યું છે કે, મારી ભૂલના કારણે પક્ષને નુકસાન ના પહોંચે તેના કારણે રાજીનામું આપું છું. લોકસભાના સત્રમાં સ્પીકરને મળીને પણ હું લોકસભાના સભ્ય પદેથી રાજીનામું આપીશ. તેમણે ભાજપના પક્ષ પ્રમુખ સી.આર.પાટીલને આપેલું રાજીનામું સ્વીકારી લેવાયું હોવાનું કહેવાય છે. મનસુખ વસાવા છેલ્લા કેટલાક સમયથી ગુજરાત સરકારની કામગીરીથી નારાજગી અને લવજેહાદના મામલે પત્ર લખીને વિવાદમાં આવ્યાં હતાં.
વસાવાએ પોતાના રાજીનામાના પત્રમાં નારાજગી વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, ભાજપે મને મારી ક્ષમતા કરતાં પણ ઘણું આપ્યું છે. જે માટે પક્ષનો, પક્ષના કેન્દ્રીય નેતાગણનો હું આભારી છું. મારાથી શક્ય હતી તેટલી મેં પક્ષમાં વફાદારી નિભાવી છે. પક્ષના મૂલ્યો, જીવનના મૂલ્યો પણ અમલમાં મુકવા કાળજી રાખી છે. પરંતુ આખરે તો હું પણ એક માનવી છું. મનુષ્યના નાતે જાણે અજાણે ભૂલો તો થતી હોય છે. મારી ભૂલના કારણે પક્ષને નુકસાન ના પહોંચે તે કારણસર હું પક્ષમાંથી રાજીનામું આપું છું. જે બદલ પક્ષ મને ક્ષમા કરે. બજેટ સત્ર દરમિયાન લોકસભા સભ્યપદેથી પણ સ્પીકરને રૂબરૂ મળીને હું રાજીનામું આપીશ.
આ અંગે સી.આર.પાટીલે ગાંધીનગરમાં પત્રકારોને જણાવ્યું હતું કે મનસુખ ભાઈએ રાજીનામું નથી આપ્યું. આગામી બજેટ સત્રમાં રાજીનામું આપવાની વાત કરી છે. અમે તેમને મનાવી લઈશું. તેઓ લોકો માટે લડતાં નેતા છે. ઈકો સેન્સેટિવ ઝોન અંગે તેમની નારાજગી છે. મનસુખ વસાવા અમારા સીનિયર સાંસદ છે અને તેમણે અમારી સામે લાગણી વ્યક્ત કરી હતી. મનસુખ વસાવા લાગણીશીલ માણસ છે. અમારા માટે ગૌરવ છે કે મનસુખભાઈ જેવા વ્યક્તિ અમારા સાંસદ છે, તેમની રજૂઆત મુદ્દે આજે હું મુખ્ય પ્રધાનને મળ્યો હતો.જેથી તેમની જે નારાજગી છે તે દૂર કરાશે.