ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે પી નડ્ડાની ગુજરાત મુલાકાત બાદ પ્રદેશ ભાજપનું નવું માળખું ગુરુવારે જાહેર કરવામાં આવ્યું હતું. આશરે ત્રણ વર્ષ બાદ પ્રદેશ માળખામાં થયેલા ફેરફારમાં ધરખમ ફેરફાર કરવામાં આવ્યા હતા.
ભાજપ પ્રદેશ પ્રમુખ સી આર પાટીલની નવી ટીમમાં 7 ઉપપ્રમુખ સહિત 13 મંત્રીઓનો સમાવેશ કરાયો છે.. પાટીલે સંગઠનમાં પાટીદાર નેતાઓને મહત્વ આપ્યુ છે .આ ઉપરાંત પ્રદેશ માળખામાં નવા ચહેરાઓને સ્તાન અપાયુ છે. એક વ્યક્તિ-એક હોદ્દાની નીતિ અપવનાવતાં કેટલાંય ધુરંધરોના પત્તા કપાયાં છે.

નવા માળખામાં સાત ઉપપ્રમુખોની નિયુક્ત કરાયા છે, જેમાં ગોરધન ઝડફિયાને યથાવત રાખવામાં આવ્યાં છે. આ ઉપરાંત જયંતિ કવાડિયા, મહેન્દ્રસિંહ સરવૈયા, નંદાજી ઠાકોર, કોશલ્યા કુંવરબા પરમાર, જનકભાઇ બગદાણાવાળા, વર્ષાબેન દોશીનો સમાવેશ કરાયો છે.

પ્રદેશ મહામંત્રી તરીકે ભીખુ દલસાણિયાને યથાવત રખાયાં છે. ભાર્ગવ ભટ્ટને પણ મહામંત્રી પદે યથાવત રખાયાં છે જયારે પ્રદિપસિંહ વાઘેલાને મહામંત્રી બનાવી પ્રમોશન અપાયુ છે.

આ વખતે પાટીલે પાટીદાર નેતાઓને વધુ મહત્વ આપ્યુ છે કેમ કે, પ્રદેશ માળખામાં સૌરાષ્ટ્રમાંથી જયંતિ કવાડિયા ઉપરાંત ગોરધન ઝડફિયાનો સમાવેશ કરાયો છે જયારે ઉત્તર ગુજરાતમાંથી રજની પટેલને મહામંત્રી બનાવાયાં છે. મહેશ કસવાલા ઉપરાંત રઘુભાઇ હુંબલ, પંકજ ચૌધરીની પ્રદેશ માળખામાં નવા ચહેરા તરીકે એન્ટ્રી થઇ છે.

દલિત ચહેરા તરીકે સાંસદ વિનોદ ચાવડાને પ્રદેશ માળખામાં સ્થાન અપાયુ છે. દલિત નેતા રમણ વોરા, શંભુપ્રસાદ ટુંડિયાના આંતરિક વિખવાદમાં ચાવડા ફાવ્યાં છે. પ્રદેશ કોષાધ્યક્ષ પદે સુરેન્દ્ર પટેલનું સ્થાન જળવાઈ રહ્યું છે. જોકે સહ-કોષાધ્યક્ષ તરીકે ધર્મેન્દ્ર શાહની નિયુક્તિ કરાઇ છે.

પ્રદેશ માળખામાં સાત મહિલાઓને સ્થાન અપાયુ છે જેમાં કેલાશબેન પરમાર, જહાનવીબેન વ્યાસનો સમાવેશ છે. નૌકાબેન પ્રજાપતિએ પોતાનુ સ્થાન જાળવી રાખ્યુ છે. આઇ કેજાડેજા, અમિત ઠાકર, કે સી પટેલ , જશુબેન કોરાટ, રમીલાબેન બારા, મનસુખ માંડવિયા, શબ્દશરણ બ્રહ્મભટ્ટ, હર્ષદગિરી ગોસ્વામી, રાજેશ ચુડાસમા, ભરતસિંહ પરમારની નવા માળખામાંથી બાદબાકી કરાઇ છે.