વિક્કી કૌશલ સાથે લગ્ન કર્યા પછી ફિલ્મોમાંથી ગાયબ રહેલી કેટરિના કૈફને નવી ઇન્ટરનેશનલ જવાબદારી મળી છે. તાજેતરમાં માલદીવ્ઝ માર્કેટિંગ એન્ડ પબ્લિક રીલેશન્સ કોર્પોરેશન દ્વારા જાહેરાત કરવામાં આવી છે કે, કેટરિના કૈફ હવે માલદીવ્ઝના ‘સની સાઇડ ઓફ લાઇફ’ની ગ્લોબલ બ્રાન્ડ-એમ્બેસેડર હશે. હાલમાં કોર્પોરેશન દ્વારા વિશ્વભરના પ્રવાસીઓને માલદીવ્ઝની સામુદ્રિક સુંદરતા તરફ આકર્ષવા માટે સમર સેલ કેમ્પેઇનની શરૂઆત કરવામાં આવી છે અને એ સમયે જ બ્રાન્ડ-એમ્બેસેડર તરીકે કેટરિનાના નામની જાહેરાત કરવામાં આવી છે. સમર સેલ કેમ્પેન હેઠળ માલદીવ્ઝનાં લક્ઝરી રીસોર્ટ્સ, બુટિક હોટેલ્સ અને ફેમિલી-ફ્રેન્ડ્લી રોકાણ પર ખાસ ઓફર્સ આપવામાં આવી રહી છે.
પોતાની નવી ભૂમિકા અંગે કેટરિનાએ વિશે કહ્યું હતું કે, ‘મોલદીવ્ઝ મારા માટે માત્ર એક સ્થળ નથી, એક અનુભવ છે જ્યાં પ્રકૃતિ પોતાના સૌથી સુંદર રૂપમાં મળે છે. મને ખૂબ ખુશી છે કે હું ‘સની સાઇડ ઓફ લાઇફ’નો ચહેરો બની રહી છું. આ અભિયાન દ્વારા હું ઇચ્છું છું કે વિશ્વભરના લોકો આ સ્વર્ગ જેવા ટાપુ-દેશની સુંદરતાનો અનુભવ કરે.’
જાન્યુઆરી 2024માં માલદીવ્ઝના કેટલાક પ્રધાનોએ ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર કરેલી અપમાનજનક ટિપ્પણી પછી સોશિયલ મીડિયા પર ‘બોયકૉટ માલદીવ્ઝ’ ટ્રેન્ડ શરૂ થયો હતો, અને તેના કારણે ઘણા લોકોએ માલદીવ્ઝની યાત્રા રદ કરી હતી અને તેમના પ્રધાનોની ચારે તરફથી ટીકા થઈ હતી. આ ઘટનાને કારણે બંને દેશોના સંબંધો પર અસર પડી હતી, પરંતુ કેટરિના કૈફની નિમણૂક અને વડાપ્રધાન મોદીની જુલાઈ 2025માં આયોજિત માલદીવ્ઝની મુલાકાત દ્વિપક્ષીય સંબંધોમાં સુધારાના સંકેત આપે છે.

LEAVE A REPLY