દેશ-દુનિયામાં મહિલા સશક્તિકરણ અને સ્ત્રી-પુરુષની સમાનતાની વાતોને ફિલ્મોમાં મહત્ત્વ આપવામાં આવતું હોય છે. આ મુદ્દો દર્શકો સુધી પહોંચાડવામાં કોઈ કચાશ રખાતી નથી. જોકે, બોલીવૂડમાં આ મુદ્દો વાસ્તવિકતા ખૂબ જ અલગ હોવાનું કહેવાય છે. યુવા અભિનેત્રી માનુષી છિલ્લરે પણ બોલીવૂડના નકલી ચહેરા સામે નારાજગી વ્યક્ત કરતાં જણાવ્યું છે કે, અહીં પણ મહિલાઓ પ્રત્યે દ્વેષ-અણગમો રાખવાની માનસિકતા જોવા મળે છે.
માનુષીએ સોશિયલ મીડિયામાં જણાવ્યુ હતું કે, મનોરંજન ક્ષેત્રમાં મહિલાઓ પ્રત્યેનો દૃષ્ટિકોણ ધૃણાસ્પદ છે. મહિલાઓના સન્માનની કોઇ ચર્ચા થતી જ નથી. માનુષીએ કોઈ ઘટના કે વ્યક્તિ અંગે વાત કરવાના બદલે સમગ્ર ઈન્ડસ્ટ્રી સામે નારાજગી વ્યક્ત કરી હતી. માનુષીના મતે, કોઇ મહિલા આત્મનિર્ભર રીતે નહીં પરંતુ કોઈ પુરુષની છત્રછાયા હોય તો જ સફળ થઈ હોવાનું લોકો કહે છે. આ પ્રકારની માનસિકતામાં મહિલા પ્રત્યેનો દ્વેષ જોવા મળે છે. દુનિયામાં કોઈ ફરક ના પડતો હોય તેવી ટિપ્પણીઓ પ્રત્યે હું ધ્યાન આપતી નથી, પરંતુ કામ કરતી મહિલા અને તેમાં પણ ફિલ્મ ઈન્ડસ્ટ્રીની મહિલા અંગે થતી ચર્ચામાં સન્માન જોવા મળતું નથી.
માનુષીએ મહિલાઓ પ્રત્યે બોલીવૂડની માનસિકતાના કારણો તપાસવાની મહેનત પણ કરી હતી. તે કહે છે કે, મારો શિક્ષિત અને સમજદાર માહોલમાં ઉછેર થયો છે, જ્યાં દરેકની કદર સરખી થાય છે. પણ બોલીવૂડમાં પુરુષ સફળ થાય તો તેની પ્રતિભા અને મહેનતને શ્રેય આપવામાં આવે છે. જ્યારે મહિલાને સફળતા મળે તો તેને તકવાદી અથવા લાલચુ કહેવાય છે. ખાસ તો સફળ ન થવાયું હોય તેવી મહિલાઓ અથવા સફળ મહિલા તાબે ન થઈ હોય તેવા પુરુષો આવી વાતો કરતા હોય છે.
