લેબર પાર્ટીએ બ્રિટનમાં એશિયન, બ્લેક અને લઘુમતી (BAME) સમુદાયના લોકો પર કોરોના વાઈરસની અપ્રમાણસર અસર કેમ થઇ રહી છે તેની સમીક્ષા કરવાની ઘોષણા કરી છે. તેમાં શિખ અને મુસ્લિમોનો સમાવેશ કરાયો છે પરંતુ વિચિત્ર રીતે હિન્દુઓને આ રાઉન્ડટેબલ તપાસમાંથી બાકાત રાખવામાં આવ્યા છે.

લેબર પક્ષના નેતા સર કૈર સ્ટાર્મરે મુસ્લિમ કાઉન્સિલ ઑફ બ્રિટન, ઑપરેશન બ્લેક વોટ, શીખ ફેડરેશન (યુકે), શીખ નેટવર્ક અને જ્યુઇશ મેડિકલ એસોસિએશનના પ્રતિનિધિઓને શુક્રવાર તા. 24ના રોજ આ સમીક્ષાની શરૂઆત કરતી તેની ડિજિટલ રાઉન્ડ ટેબલ સમીક્ષામાં ભાગ લેવા આમંત્રણ આપ્યું હતું. પરંતુ બ્રિટનમાં હિન્દુઓનું પ્રતિનિધિત્વ કરતી બે સૌથી મોટી અંબ્રેલા બોડી – હિંદુ ફોરમ ઑફ બ્રિટન અને હિન્દુ કાઉન્સિલ યુકેને તેમાં આમંત્રણ અપાયું ન હોવાની બન્ને સંસ્થાઓએ પુષ્ટિ કરી હોવાનું એક અખબારના અહેવાલમાં જણાવાયું હતું.

આ મુદ્દે ચર્ચા કરવા યોજાયેલી ડિજિટલ રાઉન્ડ ટેબલમાં લેબર નેતા કેર સ્ટાર્મર, લેબરના શેડો સેક્રેટરી ફોર ધ સ્ટેટ ઑફ વિમેન એન્ડ ઇક્વિલિટીઝ, મુસ્લિમ કાઉન્સિલ ઓફ બ્રિટનના હારૂન ખાન, ઓપરેશન બ્લેક વોટના લોર્ડ સાયમન વૂલી, આરસીએનના ઉપ પ્રમુખ યોવોન કોગિલ, શીખ નેટવર્કના જસ ખટકર, જ્યુઇશ મેડિકલ એસોસિએશનના પ્રો. ડેવિડ કેટઝ અને બ્રિટિશ મેડિકલ એસોસિએશનની કાઉન્સિલના અધ્યક્ષ ડૉ. ચંદ નાગપૌલ ઉપસ્થિત રહ્યા હતા.

આ કાર્યક્રમમાં ભાગ લેનારા ઘણા લોકો વચ્ચે સમજૂતી થઈ હતી કે, એશિયન અને બ્લેક સમુદાયની ચિંતાઓ પ્રત્યે ધ્યાન આપવા અને પગલાં લેવા સરકાર ઉપર દબાણ લાવવું જરૂરી છે. હત્યાનો ભોગ બનેલા બ્લેક કિશોર સ્ટીફન લોરેન્સની માતા અને લેબર પક્ષના રેસ રીલેશન્સના સલાહકાર બેરોનેસ ડોરેન લોરેન્સની અધ્યક્ષતામાં લેબર પાર્ટી આ સમીક્ષા કરવામાં આવી રહી છે. આ અગાઉ યુકેની સરકારે પબ્લિક હેલ્થ ઇંગ્લેંડ અને NHS ના નેતૃત્વ હેઠળ એશિયન અને બ્લેક સમુદાયો પર કોરોના વાઈરસની અસરની સમીક્ષાની ઘોષણા કરી છે.

સરકારને ટેકો આપવાને બદલે શા માટે તમે તેની હરીફાઇ કરતી સમીક્ષા શરૂ કરી છે તેવા સવાલના જવાબમાં સર કીથે બીબીસીને કહ્યું હતુ કે “અમે સરકાર સાથે કામ કરવા ખુશ છીએ પરંતુ અમે સીધો જ પ્રતિનિધિ જૂથોનો જુદી જુદી રીતે સંપર્ક કર્યો છે અને અમે તેમને જ ફીડબેક આપીશુ.”

હિન્દુ કાઉન્સિલ યુ.કે.ના જનરલ સેક્રેટરી રજનીશ કશ્યપે જણાવ્યું હતું કે “જો તમે એશિયન અને બ્લેક સમુદાય તથા ફ્રન્ટલાઈન વર્કર્સ પર કોવિડ-19ના પ્રભાવ વિશે ચર્ચા કરી રહ્યા હો ત્યારે તમને નથી લાગતું કે તમારે હિન્દુઓને પણ તેમાં આમંત્રણ આપવું જોઈએ? હિન્દુ પ્રોફેશનલ્સ પણ મોટી સંખ્યામાં ફ્રન્ટલાઈન જોબ્સમાં કામ કરી રહ્યા છે. અમે ખરેખર નિરાશ થયા છીએ.”

હિન્દુ કાઉન્સિલ યુ.કે.ના ઇન્ટરફેઈથ રીલેશન્સના ડાયરેક્ટર અનિલ ભનોતે ઉમેર્યું હતું કે “આ એક ખૂબ જ ચિંતાજનક બાબત છે. અમે પણ એશિયન અને બ્લેક સમુદાયનો એક હિસ્સો છીએ. ઘણા હિન્દુ ડોકટરો NHSમાં કામ કરે છે અને ડોકટરો સહિત ઘણાં હિન્દુઓ કોવિડ-19ના કારણે મૃત્યુ પામ્યા છે.

અમને આશા હતી કે કૈર સ્ટાર્મરના વડપણ હેઠળ બધુ બદલાશે પરંતુ હવે એવું લાગે છે કે તેઓ તેમના પૂરોગામી જેરેમી કોર્બિનની જેમ જ પાર્ટીની હાર્ડ લેફ્ટ વિંગ અને તેમણે નિમેલી શેડો કેબિનેટના દબાણ હેઠળ ભારત વિરોધી અને ઇસ્લામ તરફી વલણ અપનાવી રહ્યા છે. કોર્બિનને લોકોએ નકારી કાઢ્યા હતા. યુકેમાં એકતા માટે ફેઇથ ગ્રુપ્સ સખત મહેનત કરી રહ્યા છે ત્યારે હવે આપણે જોઈ રહ્યા છીએ કે લેબર રાજકારણીઓ આપણને વિભાજીત કરે છે.”

યુકેની 2011ની છેલ્લી વસ્તી ગણતરી મુજબ 817,000 લોકોએ પોતાને હિન્દુ તરીકે ઓળખાવ્યા હતા. તા. 21 સુધીમાં 492 ભારતીય મૂળના લોકો બ્રિટનમાં કોવિડ-19ના કારણે મૃત્યુ પામ્યા હતા. આ આંકડો યુકેમાં કોવિડ-19ના કારણે મૃત્યુ પામેલા એથનિક લોકોમાં સૌથી મોટો હતો અને યુકેમાં વાઈરસથી મૃત્યુ પામેલા લોકો પૈકી 3% જેટલો હતો.
ઇંટેન્સિવ કેર નેશનલ ઑડિટ એન્ડ રીસર્ચ સેન્ટરના અહેવાલ મુજબ એશિયન અને બ્લેક સમુદાય યુ.કે.ની વસ્તીના માત્ર 13% જેટલો હોવા છતાં.

કોવિડ-19ના લગભગ 2,000 ગંભીર બીમાર દર્દીઓમાંથી 35% એશિયન અને બ્લેક બેકગ્રાઉન્ડના હતા. સૌથી ગંભીર કેસ ધરાવતા લોકોમાં 14 ટકા એશિયન અને તેટલુ જ પ્રમાણ બ્લેક લોકોનુ હતું. એક અંગ્રેજી અખબારના અહેવાલ મુજબ વાઈટ લોકોની તુલનાએ એશિયન અને બ્લેક લોકો બમણા દરે ઇંગ્લિશ હોસ્પિટલોમાં મરી રહ્યા છે.