ભારતના નાણાપ્રધાન નિર્મલા સીતારામને મંગળવાર, પહેલી ફેબ્રુઆરીએ સંસદમાં 2022-23ના નાણાકીય વર્ષનું કેન્દ્રીય બજેટ રજૂ કર્યું હતું. (PTI Photo/Kamal Kishore)

ભારતના નાણાપ્રધાન નિર્મલા સીતારામને મંગળાર, પહેલી ફેબ્રુઆરીએ સંસદમાં 2022-23ના નાણાકીય વર્ષનું કેન્દ્રીય બજેટ રજૂ કર્યું હતું. આ બજેટની મુખ્ય બાબતો નીચે મુજબ છે.

-ભારતમાં ઇ-પાસપોર્ટ સેવા શરૂ કરાશે. 2022-23માં ચિપ્સ વાળા પાસપોર્ટ અપાશે.

-IT સ્લેબમાં કોઈ ફેરફાર ના કરાતા પગારદાર વર્ગને આ વખતે પણ કોઈ રાહત નહીં.

-2022થી દેશભરમાં ફાઈવ-જી સેવા શરૂ કરાશે. કંપનીઓને બંધ કરવાની યોજનામાં અત્યારે બે વર્ષ લાગે છે જેને ઘટાડીને છ મહિના કરવામાં આવશે. બેન્ક ગેરંટીની જગ્યાએ શ્યોરિટી બોન્ડને સરકારી ખરીદી વખતે સ્વીકારવામાં આવશે.

-ડિફેન્સ સેક્ટરમાં રિસર્ચ અને ડેવલપમેન્ટ વધારવા માટે ડિફેન્સના રિસર્ચ બજેટમાં 25 ટકા હિસ્સો આર એન્ડ ડી માટે રાખવામાં આવ્યો છે. ડીઆરડીઓ અને અન્ય સંસ્થાઓ ટેકનોલોજી વિકસાવી શકશે. ડિફેન્સ રિસર્ચના ક્ષેત્રમાં સ્ટાર્ટઅપ્સને તક આપવામાં આવશે. ડિફેન્સ સેક્ટરમાં 65 ટકા સ્વદેશી ટેક્નોલોજીને ઉત્તેજન અપાશે.

-સેઝ (SEZ)ની જગ્યાએ નવો કાયદો ઘડવામાં આવશે. સોલર એનર્જીના ઉત્પાદન માટે 19,500 કરોડ રૂપિયા ફાળવાશે.

-દેશના ગ્રામીણ અને અંતરિયાળ વિસ્તારોમાં બેન્કો અને મોબાઈલ આધારિત સેવાઓ આપવા સર્વિસ એલોકેશન ફંડ ફાળવાશે. દરેક ગામના લોકો ડિજિટલ સાધનોનો ઉપયોગ કરી શકે તે લક્ષ્ય છે. તેથી એક દેશ એક રજિસ્ટ્રેશન નીતિ લાગુ કરાશે. ગામડામાં બ્રોડબેન્ડ સર્વિસને ઉત્તેજન અપાશે.

-શહેરી આયોજનની પદ્ધતિ બદલવામાં આવશે. બિલ્ડિંગ બાય-લોઝને આધુનિક બનાવાશે, ટાઉન પ્લાનિંગને પણ સુધારવામાં આવશે. તેના માટે અમૃત યોજના લાગુ કરાશે. હાલની પાંચ સંસ્થાઓને સેન્ટર ઓફ એક્સલન્સનો દરજ્જો આપવામાં આવશે. આ તમામ સંસ્થાઓને 2500 કરોડનું ફંડ અપાશે

-પોસ્ટ ઓફિસ ખાતાઓ દ્વારા ખેડૂતોને સુવિધા અપાય છે. સરકાર દેશના 75 જિલ્લામાં 75 બેન્કિંગ યુનિટ સ્થાપિત કરશે. લોકો વધુમાં વધુ ડિજિટલ ચુકવણી કરી શકે તેને ઉત્તેજન અપાશે.

-પોસ્ટ ઓફિસને બેન્કો સાથે જોડવામાં આવશે. તેમની વચ્ચે આંતરિક લેવડદેવડ થઈ શકશે.

-પીએમ આવાસ યોજના હેઠળ 80 લાખ ઘર બનશે. પીએમ આવાસ યોજના 2022-23માં લોકોને 80 લાખ ઘર પૂરા પાડવામાં આવશે. તેના માટે 48 હજાર કરોડ રૂપિયા ફાળવાયા છે.

-મિશન શક્તિ, મિશન વાત્સલ્ય યોજના શરૂ કરવાની દરખાસ્ત છે. મહિલાઓ અને બાળકો સુધી યોજનાઓના લાભ પહોંચાડવામાં આવશે. દેશમાં 5.5 કરોડ ઘરમાં નળ દ્વારા પાણી પહોંચાડવાનો પ્રયાસ કરાશે. તે માટે રૂ. 60,000 કરોડ ફાળવાયા છે.

-ફળો અને શાકભાજીઓનું ઉત્પાદન વધારવા માટે એક વ્યાપક પેકેજ લોન્ચ કરાશે. મધ્યમ અને નાના ઉદ્યોગો માટે સ્કોપ વધારવામાં આવશે. બીટુબી સેવાઓ માટે સરકાર ઘણી ચીજોને પ્રોત્સાહન આપશે. એમએસએમઈની નાણાકીય જરૂરિયાતો પૂરી કરવા ઇમરજન્સી ક્રેડિટ લાઇનથી સારો રિસ્પોન્સ મળ્યો છે.

-ડ્રોન શક્તિ માટે સ્ટાર્ટઅપને વેગ આપવામાં આવશે. ઇશાન ભારતના વિકાસ માટે 1500 કરોડ રૂપિયાનું પેકેજ.
પીપીપી મોડેલ દ્વારા રેલવેને ચાર જગ્યાએ ઉત્પાદનો પહોંચાડવા માટે સક્ષમ બનાવવામાં આવશે. 60 લાખ નવી રોજગારી પેદા કરવાનું વચન

-400 નવી વંદે ભારત ટ્રેન શરૂ કરવામાં આવશે. આગામી ત્રણ વર્ષની અંદર વંદે ભારત ટ્રેનોને શરૂ કરવામાં આવશે.