મુખ્યપ્રધાન વિજય રૂપાણીને મંગળવારે મળનારા કોંગ્રેસના ધારાસભ્ય ઈમરાન ખેડાવાલાના રિપોર્ટ પોઝિટિવ આવ્યા પછી પ્રોટોકોલના ભાગરૂપે આજે રૂપાણીને હોમ કોરન્ટાઈન કરાયાં છે. નિષ્ણાત તબીબની ટીમ દ્વારા તેમના ટેસ્ટ કરાયા છે જે તમામ પેરામિટર્સ પ્રમાણે નોર્મલ આવ્યા છે તેમ સત્તાવાર જાહેરાત કરાયું છે.મુખ્યપ્રધાન સંપૂર્ણપણે સ્વસ્થ છે અને તેમના તમામ પેરામિટર્સ નોર્મલ છે.

નિષ્ણાતો ડો. આર.કે.પટેલ અને ડો. અતુલ પટેલ દ્વારા ટેસ્ટ કરાયા હતા. મુખ્યપ્રધાન હાલ તેઓના નિવાસસ્થાનેથી રાજ્ય સરકારની તમામ કામગીરીનું સંચાલન અને તંત્રનું માર્ગદર્શન ટેકનોલોજીના ઉપયોગથી વિડીયો કોન્ફરન્સ, વિડીયો કોલીંગ અને ટેલિફોન સંવાદ દ્વારા કરી રહ્યા છે.

મુખ્યપ્રધાન નિવાસસ્થાને આવતા એક સપ્તાહ સુધી કોઇપણ મુલાકાતીને પ્રવેશ આપવામાં નહી આવે. મુખ્યપ્રધાન વિજય રૂપાણી સરકારની તમામ કામગીરીનું સંચાલન અને માર્ગદર્શન ટેકનોલોજીના ઉપયોગથી મુખ્યપ્રધાન નિવાસસ્થાનેથી રાબેતા મુજબ કરશે તેમ મુખ્ય મંત્રીના સચિવ અશ્વિનીકુમારે જણાવ્યું છે.