જયપ્રકાશ એસોસિએટ્સને નાદારીની પ્રક્રિયા મારફત ખરીદી કરવા માટે અદાણી એન્ટરપ્રાઇઝ, વેદાંત અને જિંદાલ પાવર સહિત લગભગ અડધો ડઝન કંપનીઓએ રિઝોલ્યુશન પ્લાન રજૂ કર્યા છે. મંગળવારે, સૂત્રોએ જણાવ્યું હતું કે અબજોપતિ ગૌતમ અદાણી જૂથની કંપની અદાણી એન્ટરપ્રાઇઝ, માઇનિંગ દિગ્ગજ અનિલ અગ્રવાલની વેદાંત, દાલમિયાની ભારત સિમેન્ટ અને જેપી ઇન્ફ્રાટેકે બિડ કરી છે.
જયપ્રકાશ એસોસિએટ્સ (JAL)ના ધિરાણકર્તાઓએ બુધવારે રસ ધરાવતા પક્ષો દ્વારા સબમિટ કરાયેલી બિડ ખોલવા માટે બેઠક કરી હતી. છેલ્લી તારીખ 24 જૂન હતી.એપ્રિલમાં, 25 જેટલી કંપનીઓએ JALને હસ્તગત કરવા માટે રસ દાખવ્યો હતો.જોકે, બાબા રામદેવની આગેવાની હેઠળની પતંજલિ આયુર્વેદે શરૂઆતમાં રસ દાખવ્યા બાદ રિઝોલ્યુશન પ્લાન સબમિટ કર્યો ન હતો.
રિયલ એસ્ટેટ, સિમેન્ટ ઉત્પાદન, હોસ્પિટાલિટી, એન્જિનિયરિંગ અને બાંધકામ સહિતના ક્ષેત્રોમાં બિઝનેસ ધરાવતી JALને 3 જૂન, 2024ના રોજ નેશનલ કંપની લો ટ્રિબ્યુનલ, અલ્હાબાદ બેન્ચ દ્વારા કોર્પોરેટ નાદારી ઠરાવ પ્રક્રિયા (CIRP) ચાલુ કરાઈ હતી. કંપનીના લેણદારો આશરે રૂ.57,185 કરોડની લેણાની માગણી કરી રહ્યાં છે. JAL પાસે ગ્રેટર નોઈડામાં જેપી ગ્રીન્સ જેવા મોટા રિયલ એસ્ટેટ પ્રોજેક્ટ્સ છે, જે નોઈડામાં જેપી ગ્રીન્સ વિશટાઉનનો એક ભાગ છે. JAL પાસે મધ્યપ્રદેશ અને ઉત્તરપ્રદેશમાં ચાર સિમેન્ટ પ્લાન્ટ છે, અને મધ્યપ્રદેશમાં કેટલીક લીઝ પર લીધેલી ચૂનાના પથ્થરની ખાણો છે. જોકે, સિમેન્ટ પ્લાન્ટ કાર્યરત નથી.
