કોરોના વાયરસની કારણે ગુરુવારથી શુક્વાર સુધીમાં વીતેલા 24 કલાકમાં ભારતમાં વધુ 32 મોત નોંધાયાં છે જ્યારે નવા 1076 કેસ સામે આવ્યા છે. અત્યાર સુધીમાં દેશમાં 13835 કેસ નોંધાયા છે જ્યારે કુલ મોત 452 થયાં છે. એક્ટીવ કેસની સંખ્યા 11616 છે જ્યારે 1766 લોકોને સારવાર પછી રજા આપી દેવામાં આવી છે. કુલ 76 વિદેશીઓ કોરોનાથી ચેપગ્રસ્ત છે.

દરમિયાન, સ્વાસ્થ્ય મંત્રાલયે દાવો કર્યો છે કે કોરોના વાયરસની બીમારીના કેસ પહેલાં ત્રણ દિવસે બમણા થતા હતા તે લોકડાઉન પછી 6.2 દિવસે બેગણા થઈ રહ્યા છે. મતલબકે, દેશમાં કોરોનાના કેસની રફતાર ઘટી છે. શુક્રવારે દેશમાં લોકડાઉનનો 24મો દિવસ હતો.

દાવા પ્રમાણે પહેલી એપ્રિલથી અત્યાર સુધી કોરોના સંક્રમણના કેસમાં ૪૦ ટકાનો ઘટાડો નોધાયો છે. સ્વાસ્થ્ય મંત્રાલયના સંયુક્ત સચિવ લવ અગ્રવાલે જણાવ્યું હતું કે, અત્યાર સુધીમાં ૧૭૪૯ કોરોના સંક્રમિત લોકો સ્વાસ્થ્ય થયા છે. રેપિડ ટેસ્ટ માટે રાજ્યોને પાંચ લાખ કીટ મોકલવામાં આવી છે અને રેપિડ ટેસ્ટીંગ કીટ બનાવવાનું કામ ચાલુ છે.
રેપિડ ટેસ્ટીંગ કીટની મદદથી ૩૦ મીનીટમાં રીપોર્ટ આવી જશે. મે સુધીમાં ૧૦ લખજ રેપિડ ટેસ્ટીંગ કીટ બનાવવાનું લક્ષ્ય છે.

બીજા દેશો કરતાં ભારત કોરોના સંક્રમણને રોકવા માટે ખૂબ જ સારું કાર્ય કરી રહ્યું છે, તેમ અગ્રવાલે કહ્યું હતું.
અગ્રવાલે જણાવ્યું હતું કે, પહેલી એપ્રિલથી અત્યાર સુધીમાં ૮૦ ટકા લોકો રીકવર થઇ ગયા છે જયારે ૨૦ ટકા લોકોનાં મોત નીપજ્યાં છે.

સરકાર માટે મોત એ ચિંતાનો વિષય છે પરંતુ આપણે બીજા દેશો કરતા વધારે સારું પરિણામ મેળવી રહ્યાં છીએ અને પ્રયત્ન કરી રહ્યા છે કે વધારેમાં વધારે સારું કરી શકીએ. અગ્રવાલે વધુમાં જણાવ્યું હતું કે, ઇમ્યુઇન બુસ્ટર ડિવાઈસ અને પ્લાઝમા થેરેપી પર કામ ચાલી રહ્યું છે. દેશભરમાં ૧૯૧૯ કોવિડ હોસ્પિટલ અને વેલનેસ સેન્ટર તૈયાર કરવામાં આવ્યા છે.