પ્રતિકાત્મક તસવીર (istockphoto.com)

કોરોનાના વધતા કેસને જોતા વિજ્ઞાનીઓએ અનુમાન લગાવ્યું છે કે 11થી 15 મેની વચ્ચે કોરોના પીક પર હશે. એ વિજ્ઞાનીઓએ ગાણિતિક મોડલ દ્વારા કોરોના સંક્રમણના વધતા કેસ પર જે સ્ટડી કરી છે, તેના પ્રમાણે 15 મેની આસપાસ કોરોનાના એક્ટિવ કેસ 33થી 35 લાખની નજીક પહોંચશે.

કોરોના સંક્રમણને જોતા વિજ્ઞાનીઓએ અનુમાન લગાવ્યું છે કે ભારતમાં કોરોના સંક્રમિત દર્દીઓની સંખ્યા હજુ પણ વધશે. વિજ્ઞાનીઓએ કહ્યું કે, ગત વર્ષે જે પ્રકારનું અનુમાન લગાવવામાં આવ્યું હતુ એ જ પ્રકારનો ટ્રેન્ડ રહ્યો તો કોરોના સંક્રમિતોની સંખ્યા મેના મધ્ય સુધી કોરોના દર્દીઓની સંખ્યામાં 3 ઘણો વધારો થશે. ઉલ્લેખનીય છે કે ગત વર્ષે 17 સપ્ટેમ્બરના કોરોના પીક પર હતો, પરંતુ આ વખતે સ્થિતિ ઘણી જ ખરાબ થતી જોવા મળી રહી છે.

કોરોનાની અત્યારની સ્થિતિ જોતા દિલ્હી, હરિયાણા, રાજસ્થાન અને તેલંગાણામાં 25-30 એપ્રિલ દરમિયાન નવા કેસોની સંખ્યા ચરમ પર હશે. આ જ રીતે 1થી 5 મેની વચ્ચે ઓરિસ્સા, કર્ણાટક અને પશ્ચિમ બંગાળ જ્યારે 6-10 મે દરમિયાન તમિલનાડુ અને આંધ્ર પ્રદેશમાં કોરોના પીક પર હશે. મહારાષ્ટ્ર અને છત્તીસગઢમાં કોરોના પહેલા જ પોતાના ચરમ પર છે. આ જ રીતે બિહારમાં કોરોના 25 એપ્રિલની આસપાસ પોતાની પીક પર હશે. વિજ્ઞાનીઓએ જણાવ્યું કે, કોરોનાની ઝડપ પર અમારી નજર બનેલી છે.