શહેરમાં 27 એપ્રિલે કોરોનાના 197 કેસ સામે આવ્યા હતા જ્યારે પાંચના મોત થયા હતા. આ સાથે જ અમદાવાદમાં કોરોનાના કુલ દર્દી 2378 અને મૃત્યુઆંક 109 પર પહોંચ્યો હતો. જ્યારે અત્યાર સુધીમાં 212 દર્દી સાજા થયા છે. કોરોનાનો કહેર કોટ વિસ્તારમાં અને બહેરામપુરા વિસ્તારમાં જે રીતે ફેલાયો છે તેમાં સિનિયર કોર્પોરેટર બદરુદ્દીન શેખ સપડાયા બાદ હવે બહેરામપુરાના જ મહિલા કોર્પોરેટરનો કોરોના ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે. તેઓને સારવાર માટે SVP હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

તેઓને ગભરામણ સહિતની ફરિયાદ થતા તેઓ હોસ્પિટલ ગયા હતા જ્યાં રિપોર્ટ કરાવતા તેઓનો ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે. રાજયમાં કોરોના વાઇરસના કેસો અમદાવાદમાં સતત વધે છે. દરેક વિસ્તારમાં ફ્રન્ટ લાઈન વોરિયર્સ સહિતના લોકો તેનો ભોગ બની રહ્યાં છે, ત્યારે હવે આ વાઇરસ સાબરમતી સેન્ટ્રલ જેલ સુધી પણ ફેલાયો છે. સાબરમતી જેલમાં બે કેદીનો કોરોના ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે.

જેલમાં રહેલા પાકા કામના કેદી નવાબ ઉર્ફે કાલુ અને ઇસનપુર પોલીસે પોકસોના કેસમાં ઝડપેલા આરોપીની સારવાર કરાવવા ગયા હતા. જેમનો ટેસ્ટ કરાવતા પોઝિટિવ આવ્યો છે. બંને કેદીઓ સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. જનતા કર્ફ્યૂના 17મા દિવસે કુલ કેસની સંખ્યા 78 હતી.રોજના સરેરાશ કેસ 4.5 હતા. 8 એપ્રિલથી 27 એપ્રિલ દરમિયાન કુલ કેસ 2300 થયા એટલે કે સરેરાશ રોજના 121 કેસ નોંધાયા છે.