(istockphoto)

ગુજરાતમાં સરકારે દિવાળીના તહેવારોને ધ્યાનમાં રાખીને દ્વારા રાત્રિ કર્ફ્યુમાં મોટી છૂટછાટ આપી છે. સરકારની જાહેરાત મુજબ 30 ઓક્ટોબરથી 30 નવેમ્બર એટલે કે એક મહિના સુધી ગુજરાતમાં 8 મહાનગરોમાં રાત્રિ કર્ફ્યુનો સમય રાત્રે 1 વાગ્યાથી સવારે 5 વાગ્યા સુધીનો રહેશે. આ સાથે જ રાજ્યમાં સિનેમા હોલ અને રેસ્ટોરન્ટ્સના સમય-ક્ષમતામાં પણ વધારો કરાયો છે. હવે રાજ્યમાં સિનેમાઘરો 100 ટકાની ક્ષમતા સાથે ખોલી શકાશે.

નવા વર્ષ નિમિત્તે સ્નેહ મિલન કાર્યક્રમોનું આયોજન કોરોના ગાઈડલાઈનનું પાલન કરવાની શરતે નિયત S.O.P.ને આધિન કરવાનું રહેશે. ખુલ્લામાં મહત્તમ 400 વ્યક્તિઓ પરંતુ, બંધ સ્થળોએ, જગ્યાની ક્ષમતાના 50 ટકા (મહત્તમ 400 વ્યક્તિઓની મર્યાદામાં) કરી શકાશે. સિનેમાહોલ 100 ટકા ક્ષમતા સાથે ચાલુ રાખી શકાશે. કોરોનાની ગાઈડ લાઈનનું પાલન કરવાની શરતે S.O.P.ને આધિન, ખુલ્લામાં મહત્તમ 400 વ્યક્તિઓની મર્યાદામાં છઠ્ઠ પૂજાના ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરી શકાશે. ઉપરાંત, સ્પા સેન્ટરો કોરોના ગાઈડલાઈનના ચુસ્તપણે પાલન સાથે સવારેના 9 વાગ્યાથી રાત્રે 9 વાગ્યા સુધી ચાલુ રાખી શકાશે. સ્પા સેન્ટરના માલિકો, સંચાલકો, કર્મચારીઓ તેમજ કામગીરી સાથે સંકળાયેલા તમામ વ્યક્તિઓ માટે કોરોના વેક્સિનનો પ્રથમ ડોઝ ફરજિયાત રહેશે.

તમામ દુકાનો, વાણિજ્યિક સંસ્થાઓ, લારી-ગલ્લાઓ, શોપિંગ કોમ્પ્લેક્સ, માર્કેટિંગ યાર્ડ, અઠવાડિક ગુજરી/બજાર/હાટ, હેર કટિંગ સલૂન, બ્યુટી પાર્લર તેમજ અન્ય વ્યાપારિક ગતિવિધિ રાત્રિના 12 કલાક સુધી રાખી શકાશે. રેસ્ટોરન્ટ્સ રાત્રિના 12 કલાક સુધી બેસવાની ક્ષમતાના મહત્તમ 75 ટકા ક્ષમતા સાથે કોરોના ગાઈડલાઈનનું પાલન કરવાની શરતે નિયત S.O.P.ને આધિન ચાલુ રાખી શકાશે. હોમ ડિલિવરી તથા ટેક અવે પણ રાત્રિના 12 કલાક સુધી ચાલુ રાખી શકાશે