આરોગ્ય વિભાગના અગ્રસચિવ જયંતિ રવિએ પત્રકાર પરિષદ સંબોધી હતી જેમાં તેમણે ગુજરાતમાં કોરોના વાયરસની સ્થિતિને લઇને જાણકારી આપી હતી. તેમણે કહ્યું કે, કોરોના વાયરસના બે પ્રકારના સ્ટેન છે. જેમાં S સ્ટેન જે વધારે ઘાતક નથી. જ્યારે બીજો L સ્ટેન જે ઘાતક છે. તેમણે કહ્યું કે, ગુજરાતમાં L સ્ટેન વધું હોવાથી પણ મૃત્યુનો આંકડો વધું છે. આ મુદ્દે રિસર્ચ કરવામાં આવી રહ્યુ છે. ત્યારે અહીં માહિતી આપવામાં આવી છે કે આખરે L સ્ટેન અને S સ્ટેન શું છે.અત્યાર સુધી કરવામાં આવેલા રિસર્ચ દરમિયાન જાણવા મળ્યું છે કે કોરોના વાયરસ ત્રણ પ્રકારના છે.

જેમાંથી બે વાયરસ જીવલેણ છે. જ્યારે ત્રીજો થોડો ઓછો ખતરનાક છે. L સ્ટેન ટાઇપ કોરોના વાયરસ સૌથી ખતરનાક છે. ચીનના વુહાનમાં જે કોરોના વાયરસ હતો તે એલ ટાઇપ સ્ટેન હતો જેના કારણે ત્યાં વધુ મોત થયા છે.એલ ટાઇપ સ્ટેન ગુજરાતમાં પણ હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. કારણ કે ગુજરાતમાં મૃત્યુદર સતત વધી રહ્યા છે. મોત મામલે ગુજરાત મહારાષ્ટ્ર બાદ બીજા નંબર પર છે. ગુજરાતમાં અત્યાર સુધી ત્રણ હજાર કરતા વધુ કેસ નોંધાયા છે જેમાં 162 લોકોનાં મોત થયા છે.

ગુજરાત બાયોટેકનોલોજી રિસર્ચ સેન્ટરે દાવો કર્યો હતો કે લેબમાં કોરોના ડીએનએને ડિકોડ કરવામાં આવ્યા છે જેમાં જાણવા મળ્યું છે કે ગુજરાતમાં કોરોના જે વાયરસ છે તે કોરોનાનો સૌથી ખતરનાક વાયરસ એટલે કે એલ ટાઇપ સ્ટેન છે. ગુજરાત બાયોટેકનોલોજી રિસર્ચ સેન્ટરના ડિરેક્ટર સીજી જોશીએ દાવો કર્યો હતો કે જે દેશમાં મૃત્યુ દર વધુ છે ત્યાં એલ ટાઇપ સ્ટેન વાયરસ મળ્યા છે અને આ વાયરસ એસ ટાઇપ સ્ટેનથી વધુ ખતરનાક છે.કોરોનાના એલ સ્ટેન અને એસ સ્ટેનમાં ફેર તેના મ્યૂટેશન એટલે કે બદલાવને લઇને છે.

કોરોનાની શરૂઆત એલ સ્ટેનથી થઇ હતી. જેથી તે વધુ ખતરનાક છે. એલ સ્ટેનને બદલીને એસ સ્ટેન થયો. જેથી તે ઓછો ખતરનાક છે. ગુજરાતમાં ઇન્ફ્રેક્શનવાળી બીમારીઓના નિષ્ણાત ડોક્ટર અતુલ પટેલનુ માનવુ છે કે ગુજરાતમાં વાયરસ બંન્ને પ્રકારના છે. એટલે કે એલ સ્ટેન અને એસ સ્ટેન. પરંતુ એલ સ્ટેનની સંખ્યા વધુ છે. જેથી ગુજરાતમાં મૃત્યુદર વધુ છે.કોરોનાના કારણે સૌથી વધુ મોત અમેરિકામાં થયા છે અને ત્યાં પણ એલ સ્ટેન છે. ગુજરાતમા સૌથી વધુ લોકો અમેરિકાથી આવ્યા હતા.

જે પોતાની સાથે એલ સ્ટેન લઇને આવ્યા હતા. જેથી રાજ્યમાં મોતનો આંકડો વધુ છે.જ્યારે કેરલ સાથે સરખામણી કરવામાં આવે તો કેરલમાં સૌથી વધુ લોકો દુબઇથી આવ્યા અને દુબઇમાં એસ સ્ટેન હતો. તો કેરલમાં મોત પણ ઓછા થયા છે. જોકે કોઇને અગાઉથી કોઇ બીમારી હોય તો એસ સ્ટેન પણ એલ સ્ટેનની જેમ પણ ખતરનાક સાબિત થાય છે. નોંધનીય છે કે સ્વાસ્થ્ય વિભાગના અગ્રસચિવે કહ્યું હતુ કે, ગુજરાતમાં જે મોત થયા છે તેમાં મોટાભાગના મરનારાઓ હાર્ટની બીમારી, ફેફસાની બીમારી, ડાયાબિટીશ અને હાઇપર ટેન્શન જેવી સમસ્યાથી પીડાતા હતા.