કોરોના વાયરસના મામલામાં ઝડપથી વધારો નોંધાઈ રહ્યો છે. છેલ્લા 24 કલાક દરમિયાન દેશમાં કોરોનાના 3500થી વધારે કેસ નોંધાયા છે. આ સાથે જ દેશમાં કોરોના વાયરસથી સંક્રમીત લોકોનો આંકડો વધીને 74281 સુધી પહોંચી ગયો છે. મંગળવારે સવારે નવ વાગ્યાથી બુધવારે સવારે 9 વાગ્યા સુધીમાં દેશમાં કોરોના વાયરસના નવા 3525 નવા કેસ નોંધાયા છે. જ્યારે છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોના વાયરસના સંક્રમણને મહાત આપીને સ્વસ્થ થનારાઓની સંખ્યા 1900થી વધારે છે.

કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના આંકડા પ્રમાણે અત્યાર સુધીમાં દેશમાં કુલ 74281 કોરોના વાયરસના કેસ નોંધાયા છે જેમાંથી 24385 લોકો એવા છે કે જેઓ સંપૂર્ણ રીતે સ્વસ્થ્ય થઈ ચૂક્યા છે. પરંતુ 2415 લોકોએ કોરોના વાયરસના કારણે પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સ્પષ્ટ થાય છે કે મંગળવારે સવાર સુધીમાં દેશભરમાં કોરોના વાયરસના કુલ 47480 એક્ટિવ કેસ છે.

દેશમાં કોરોના વાયરસના કુલ કેસમાંથી સૌથી વધારે કેસ મહારાષ્ટ્રમાં નોંધાયા છે. દેશભરમાં જેટલા પણ કેસ નોંધાયા છે તેમાંથી લગભગ એક તૃત્યાંશ કેસ ફક્ત મહારાષ્ટ્રમાંથી સામે આવ્યા છે. મહારાષ્ટ્રમાં અત્યાર સુધીમાં કોરોનાના 24472 કેસ નોંધાયા છે જેમાંથી 921 લોકોએ પોતાના જીવ ગુમાવી ચૂક્યા છે. જોકે, મહારાષ્ટ્રમાં 5125 લોકો સ્વસ્થ પણ થઈ ચૂક્યા છે.

મહારાષ્ટ્ર બાદ ગુજરાતમાં કોરોના વાયરસના સૌથી વધારે કેસ નોંધાયા છે. ગુજરાતમાં અત્યાર સુધીમાં કુલ 8903 કેસ નોંધાઈ ચૂક્યા છે જેમાંથી 537 લોકો કાળનો કોળિયો બની ગયા છે. ગુજરાત બાદ તમિલનાડૂમાં 8718, દિલ્હીમાં 7639, રાજસ્થાનમાં 4126, મધ્યપ્રદેશમાં 3986 અને ઉત્તર પ્રદેશમાં કોરોનાના 3664 કેસ સામે આવ્યા છે. દુનિયાભરમાં કોરોના વાયરસના અત્યાર સુધીમાં 43.42 લાખથી વધારે કેસ નોંધાઈ ચૂક્યા છે.