વોટફર્ડ ખાતે આવેલ ભક્તિવેદાંત મેનોર સ્થિત હરે કૃષ્ણ મંદિર ખાતે એક સભ્યનો કોરોનાવાયરસ – COVID-19નો ટેસ્ટ પોઝીટીવ આવતા મંદિરને સાવચેતી ખાતર સામાન્ય દર્શનાર્થીઓ માટે બંધ કરાયું છે. સાવચેતીના પગલા તરીકે નવી ઘોષણા કરાય નહીં ત્યાં સુધી મંદિર બંધ રહેશે. મંદિરની વેબસાઇટ પર, મેનેજિંગ ડાયરેક્ટર ગૌરી દાસે જાહેરાત કરી હતી કે જે વ્યક્તિનો ટેસ્ટ પોઝીટીવ આવ્યો છે તે મંદિરમાં નહોતા પરંતુ અન્ય લોકો તેમની સાથે સંપર્કમાં હતા. હવે મંદિરની સઘન સફાઇ કરવામાં આવશે અને સફાઇ માટે 24થી 48 કલાકનો સમય લાગશે. તા. 6થી તા. 9 દરમિયાન મંદિરમાં યોજાયેલ શ્રી કૃષ્ણ હવેલી ઉદઘાટન, ગૌરા પૂર્ણિમા ઉત્સવ સહિત તમામ આયોજિત કાર્યક્રમો રદ કરાયા છે.