ગુજરાતીઓને ‘ઠગ’ તરીકે ઓળખાવતી કથિત ટિપ્પણી બદલ અમદાવાદની એક મેટ્રોપોલિટન કોર્ટે સોમવારે બિહારના નાયબ મુખ્ય પ્રધાન અને રાષ્ટ્રીય જનતા દળના નેતા તેજસ્વી યાદવને ફોજદારી માનહાનિના કેસના સંબંધમાં સમન્સ જારી કર્યા હતા.
એડિશનલ મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ ડી જે પરમારે યાદવને સમન્સ જારી કરીને 22 સપ્ટેમ્બરે કોર્ટ સમક્ષ હાજર થવાનો આદેશ આપ્યો હતો. આ આદેશ ભારતીય દંડ સંહિતાની કલમ 499 અને 500 હેઠળ દાખલ કરવામાં આવેલી ફરિયાદ પર આવ્યો હતો, જે ફોજદારી માનહાનિ સાથે સંબંધિત છે.
સામાજિક કાર્યકર અને બિઝનેસમેન હરેશ મહેતા આ ફરિયાદ દાખલ કરી હતી. તેઓ ઓલ ઈન્ડિયા એન્ટી કરપ્શન એન્ડ ક્રાઈમ પ્રિવેન્ટિવ કાઉન્સિલ (ગુજરાત રાજ્ય)ના ઉપપ્રમુખ છે.
કોર્ટે ક્રિમિનલ પ્રોસિજર કોડ (CrPC)ની કલમ 202 હેઠળ યાદવ સામે તપાસ હાથ ધરી હતી અને ફરિયાદના આધારે તેમને સમન્સ મોકલવા માટે પૂરતા કારણો મળ્યાં હતાં.
મહેતાના કહેવા પ્રમાણે આરજેડી નેતાએ ગુજરાતીઓને ‘ઠગ’ કહીને ‘અપમાન’ કર્યું હતું. આ ફરિયાદ 21 માર્ચે યાદવની એક પ્રેસ બ્રીફિંગ પર આધારિત છે જ્યાં તેમણે કથિત રીતે કહ્યું હતું કે, “…દેશની સ્થિતિ એવી છે કે માત્ર ગુજરાતી જ ઠગ બની શકે છે કારણ કે તેમની છેતરપિંડી માફ કરવામાં આવશે.” ઇન્ટરપોલે માર્ચમાં ભાગેડુ ઉદ્યોગપતિ મેહુલ ચોક્સીને તેની યાદીમાંથી હટાવી દીધા હોવાના અહેવાલો પર ટિપ્પણી કરતી વખતે યાદવે આ વિવાદાસ્પદ ટિપ્પણી કરી હોવાનું કહેવાય છે.
![](https://www.garavigujarat.biz/wp-content/uploads/2024/06/eee.jpg)