દેશભરમાં લોકડાઉન લંબાવવાની ચાલી રહેલી ચર્ચાઓની વચ્ચે ઓડિશા સરકારે આ મામલે મોટું પગલું લીધું છે. રાજ્યની નવીન પટનાયક સરકારે લોકડાઉનની સમય મર્યાદા વધારવાનો નિર્ણય લીધો છે. ઓડિશા સરકારે રાજ્યમાં 30 એપ્રિલ સુધી લોકડાઉન વધારવાની જાહેરાત કરી છે. આડિશા આવું કરનાર દેશનું પ્રથમ રાજ્ય બની ગયું છે.

ઓડિશાના મુખ્યમંત્રી નવીન પટનાયકે આ નિર્ણય અંગે જાણકારી આપી છે. આ સાથે જ રાજ્ય સરકારે કેન્દ્ર સરકારને લોકડાઉન દરમિયાન ટ્રેન અને વિમાન સેવા શરૂ નહીં કરવાની અપીલ કરી છે. ઓડિશા સરકારે રાજ્યની તમામ શિક્ષણ સંસ્થાઓને 17 જૂન સુધી બંધ કરવાનો નિર્ણય લીધો છે. આ દરમિયાન શાળા, કોલેજો અને યુનિવર્સિટીઝ બંધ રહેશે.

ઓડિશામાં અત્યાર સુધી કોરોના વાયરસના સંક્રમણના કુલ 42 કેસ સામે આવ્યા છે. જેમાંથી બે ડિસ્ચાર્જ થઈ ગયાછે અને એક દર્દીનું મોત થઈ ગયું છે. નોંધનીય છે કે, દેશમાં 14 એપ્રિલ સુધી લોકડાઉનની જાહેરાત કરવામાં આવી છે. અગાઉ કેટલાક રાજ્યોના મુખ્યમંત્રીઓએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સાથે થયેલી ચર્ચા દરમિયાન લોકડાઉન વધારવાની સલાહ આપી હતી.