દિવાળી પછી અમદાવાદમાં કોવિડ-19ના કેસમાં સતત વધારો જોવા મળતા અને તેને રોકવા માટે અમદાવાદ શહેરમાં શુક્રવારની રાતે ૯ વાગ્યાથી કર્ફ્યુ લાદવામાં આવ્યો છે. આ કર્ફ્યુ સોમવારે સવારે ૬ વાગ્યા સુધી અમલમાં રહેશે. શહેરમાં કર્ફ્યુની અસર શહેરમાં જોવા મળી રહી છે. અમદાવાદ શહેરના તમામ રસ્તા સુમસામ બની ગયા છે અને બિનજરૂરી બહાર નીકળતા લોકો સામે પોલીસ કાર્યવાહી કરી રહી છે. અમદાવાદમાં શુક્રવાર રાતથી કર્ફ્યુનું કડક પાલન કરવામાં આવી રહ્યું છે. શહેરના તમામ મુખ્ય રસ્તાઓ તેમજ એન્ટ્રી પોઇન્ટ પર પોલીસ ગોઠવવામાં આવી છે. પોલીસ દ્વારા ઉચ્ચ સ્તરે સતત પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે. આવામાં જો કોઇ વ્યક્તિ કે વાહન અવરજવર કરતું જણાય છે તો તેમની પૂછપરછ કરવામાં આવી રહી છે. આટલું જ નહીં, તેમની સામે દંડાત્મક કાર્યવાહી પણ કરાઇ રહી છે.
ટ્રાફિકથી સતત ધમધમતાં શહેરના કાલુપુર, રીલિફ રોડ, એસજી હાઇવ, દિલ્હી દરવાજા, રેલવે સ્ટેશન વિસ્તાર તથા પશ્ચિમ વિસ્તારમાં પણ સંપૂર્ણ સન્નાટો જોવા મળી રહ્યો છે. સરકાર દ્વારા જે લોકોને છૂટછાટ આપવામાં આવી છે તેમને પણ તેમના આઇકાર્ડ જોઇને જ જવા દેવાય છે. જે લોકો પાસે આઇકાર્ડ નથી તે લોકો સામે કાર્યવાહી કરાઇ રહી છે. આટલું જ નહીં, હોસ્પિટલમાં દાખલ દર્દીના સગાસંબંધીઓને પણ પાસ જોઇને જ જવા દેવાય છે. બહારગામથી રેલવે સ્ટેશન કે એરપોર્ટ પર આવેલા કે જતાં મુસાફરોને પણ આઇકાર્ડ તથા તેમની ટિકિટ તપાસીને જ જવા દેવામાં આવે છે.