File Getty Images)

સમગ્ર સૌરાષ્ટ્ર-કચ્છમાં આગામી સપ્તાહમાં ફરી ચોમાસાનો નવો રાઉન્ડ શરુ થાય તેવો સંકેત જોવા મળે છે. ગુજરાત ઉપર અપરએર સાયક્લોનીક સરક્યુલેશન સર્જાયું હોવાથી આગામી બે દિવસ છુટોછવાયો હળવો મધ્યમ વરસાદ ચાલુ રહ્યા બાદ આગામી સપ્તાહમાં ફરી ચોમાસાનો દૌર શરુ થવાની શક્યતા જોવા મળે છે.

છેલ્લા એક પખવાડિયા કરતા વધુ સમયથી પ્રિમોન્સુન એક્ટીવીટી બાદ સૌરાષ્ટ્ર કચ્છમાં સક્રિય થયેલાં ચોમાસાની અસર હેઠળ ચાલુ સપ્તાહના મધ્યમભાગ સુધી વાદળછાયા હળવા, મધ્યમ તો અમુક સ્થળે ભારે વરસાદ વરસી જવાનો દૌર ચાલુ રહ્યો હતો.

જેની અસર હેઠળ સૌરાષ્ટ્ર કચ્છના તમામ જિલ્લામાં છુટાછવાયા ઝાપટાથી લઇ નોંધપાત્ર પાંચ ઇંચ સુધી વરસાદ વરસી જતાં ખેડૂતોએ વાવણી કાર્ય શરુ કરી દીધું હતું. પરંતુ છેલ્લા ત્રણ દિવસથી ફરી અચાનક વાતાવરણમાં પલ્ટો આવવા સાથે રાજ્યભરમાં ચોમાસાએ વિરામ લીધો હતો.

જેમાં છેલ્લા 72 કલાકમાં માત્ર વેરાવળમાં માત્ર બે મીમી જેટલુ વરસાદી ઝાપટુ વરસી ગયું હતું. જ્યારે અન્યત્ર સંપૂર્ણપણે શાંતિ જોવા મળી હતી. એકબાજુ છુટાછવાયો વરસાદ પખવાડિયા પહેલા જે વિસ્તારમાં વરસાદ પડ્યા બાદ છેલ્લા 15 દિવસથી આ વિસ્તારમાં ફરી વરસાદ નોંધાયો નથી તે વિસ્તારમાં ખેડૂતો વાવણી-બિયારણ નિષ્ફળ જવાની દહેશતથી ચિંતિત બન્યા છે.

જો કે હાલમાં દક્ષિણ ગુજરાત અને તેની આસપાસના વિસ્તારમાં 3.6 થી 5.8 કિ.મી.ની ઉંચાઈ ઉપર હાલમાં સાયક્લોનીક સરક્યુલેશન સર્જાતા તેની અસરથીબે દિવસ છુટાછવાયા ઝાપટા વરસી ગયા બાદ આગામી સપ્તાહના અંત સુધીમાં ફરી ચોમાસુ સક્રિય બને તેવી શક્યતા હાલમાં જોવા મળે છે.

તેવા સમયે વરસાદી વિરામ વચ્ચે છેલ્લા ત્રણ દિવસથી ચાલતા અસહ્ય ગરમી અને ઉકળાટના દૌરમાં દક્ષિણ-પશ્ચિમી દરિયાઈ ભેજવાળા પવનની અસર હેઠળ અસહ્ય બફારાથી જનતા ત્રાહીમામ જોવા મળે છે તો બીજી આગામી સપ્તાહ સુધી ઠંડક મળવાની કોઇ શક્યતા હાલ જોવા મળતી નથી.