
લશ્કરી અને પરમાણુ સહિતની સંરક્ષણ વ્યૂહરચનામાં મોટા પાયે સુધારા અને સરકારની સંરક્ષણ ખર્ચ યોજનાઓનું અનાવરણ કરતા વડા પ્રધાન કેર સ્ટાર્મરે ગ્લાસગોમાં જણાવ્યું હતું કે ‘’યુકેનું સૈન્ય યુદ્ધ-લડાઈની તૈયારી તરફ આગળ વધી રહ્યું છે અને સરકાર યુદ્ધ માટેના શસ્ત્ર સરંજામમાં નવીનતા લાવશે અને તેને વેગ આપશે. બ્રિટન લેબર સરકાર હેઠળ તેની રચના પછી નાટોમાં તેનું સૌથી મોટું યોગદાન આપશે.’’
યુકેના લશ્કરી અને પરમાણુ શસ્ત્રાગાર માટે સ્ટાર્મરની નવી યોજના યુરોપિયન ખંડમાં રશિયન આક્રમણના વધતા જોખમ અને દેશને સુરક્ષિત રાખવાની જરૂરિયાત તથા અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પેના ‘’યુરોપને પોતાની સુરક્ષા માટે વધુ જવાબદારી લેવાની જરૂર છે’’ તેવી હાકલ પછી આવી છે.
આ અગાઉ સ્ટાર્મરે કહ્યું હતું કે યુકેએ સંઘર્ષને રોકવા માટે તૈયારી કરવી જોઈએ અને રશિયા તરફથી આવતી કોઇ પણ ધમકીને અવગણી શકાય નહીં. વડા પ્રધાને યુકેનો સંરક્ષણ ખર્ચ ક્યારે GDP ના 3% સુધી પહોંચશે તેની ચોક્કસ તારીખ આપવાનો ઇનકાર કર્યો હતો. ફેબ્રુઆરી 2025માં સ્ટાર્મર સરકારે જાહેરાત કરી હતી કે તે એપ્રિલ 2027 સુધીમાં તેના સંરક્ષણ ખર્ચને GDP ના 2.5% સુધી વધારવા માટે પ્રતિબદ્ધ છે.’’
સ્કોટલેન્ડના ગ્લાસગોમાં BAE સિસ્ટમ્સના ગોવન શિપબિલ્ડિંગ ફેસેલીટીઝની મુલાકાત દરમિયાન વડા પ્રધાન કેર સ્ટાર્મરે ત્રણ મૂળભૂત ધ્યેયો પર ભાર મૂક્યો – યુકેને યુદ્ધ-લડાઈની તૈયારી તરફ ખસેડવા, નાટો જોડાણની મજબૂતાઈમાં વધારો કરવો અને યુદ્ધ-સમયની શાંતિ માટે સૌથી ઝડપી સંશોધક બનવું.
વડા પ્રધાને ઉમેર્યું હતું કે ‘’જ્યારે આપણને અદ્યતન લશ્કરી દળો ધરાવતા દેશો દ્વારા સીધો ભય આવી રહ્યો છે, ત્યારે તેમને રોકવાનો સૌથી અસરકારક રસ્તો તૈયાર રહેવાનો છે. યુકે માટે પોતાનો બચાવ કરવાનો સમય આવી ગયો છે. યુકે આગામી પેઢીની 12 એટેક સબમરીન બનાવવા માટે પણ કામ કરશે, જે પરમાણુ શક્તિથી ચાલતી હશે અન બિન-પરમાણુ શસ્ત્રો વહન કરશે. આગામી પેઢીના જહાજોનો હેતુ સાતના વર્તમાન કાફલાને બદલવાનો છે.’’
ડીફેન્સ સેક્રેટરી જોન હીલીએ જણાવ્યું હતું કે ‘’આંતરરાષ્ટ્રીય પાણીમાં પેટ્રોલિંગ કરતી નવી અત્યાધુનિક સબમરીન અને બ્રિટિશ કિનારા પર આપણા પોતાના પરમાણુ શસ્ત્ર કાર્યક્રમ સાથે, અમે બ્રિટનને ઘરે સુરક્ષિત અને વિદેશમાં મજબૂત બનાવી રહ્યા છીએ.”
આ યોજના અંતર્ગત યુકે નવા યુદ્ધાભ્યાસ પ્લાન્ટ બનાવશે અને 7,000 બ્રિટિશ-નિર્મિત લાંબા અંતરના શસ્ત્રો ખરીદશે. બ્રિટિશ સૈન્ય સામે તાજેતરના સાયબર હુમલાઓને ધ્યાનમાં રાખીને સાયબર અને ઇલેક્ટ્રોમેગ્નેટિક કમાન્ડ પણ સ્થાપિત કરવામાં આવશે. હવે બ્રિટન સત્તાવાર રીતે શીત યુદ્ધ પછીની લશ્કરી ઘટાડાની તેની વ્યૂહરચનાને ઉલટાવી દેશે.
