દિલ્હી હાઈકોર્ટે ઇશા ફાઉન્ડેશનના સ્થાપક સદગુરુના વ્યક્તિત્વના અધિકારોનું રક્ષણ કરીને વિવિધ ઓનલાઈન પ્લેટફોર્મ્સને સદગુરુના નામ, તસવીરો અને વ્યક્તિત્વનો દુરુપયોગ કરતી સામગ્રી દૂર કરવાનો વચગાળાનો આદેશ આપ્યો હતો. સોશિયલ મીડિયાનો ઉપયોગ કરી રહેલા અનેક લોકો AI દ્વારા સદગુરુના નકલી ઓડિયો, વિડીયો અને તસવીરોનો ઉપયોગ કરીને પોતાના ઉત્પાદનોનું વેચાણ કરતા હતા. આ ઉપરાંત સદગુરુની લોકપ્રિયતાનો ઉપયોગ ગ્રાહકો મેળવવાના હેતુ માટે કરતા હતા.
આ કૌભાંડ સંસ્થાના ધ્યાનમાં આવતા સદગુરુ અને ઈશા ફાઉન્ડેશન દ્વારા દિલ્હી હાઇકોર્ટમાં પર્સનાલિટી રાઈટ્સ કેસ દાખલ કરવામાં આવ્યો હતો. આ કેસની સુનાવણી શુક્રવારે થઇ હતી. જે અનુસંધાને કોર્ટે વિવિધ ઓનલાઈન પ્લેટફોર્મ્સને સદગુરુના નામ, તસવીર અને વ્યક્તિત્વનો દુરુપયોગ કરતી સામગ્રી દૂર કરવાનો વચગાળાનો આદેશ આપ્યો હતો. કોર્ટના ચૂકાદાને આવકારતા, ફાઉન્ડેશને એકસ (ટ્વિટર) પર જણાવ્યું હતું કે, ‘આવા કૌભાંડોમાં નકલી AI-સર્જિત વિડીયો, સદગુરુની ધરપકડ જેવી ખોટી ઘટનાઓ દર્શાવતી મોર્ફ કરેલી તસવીરો અને નાણાકીય રોકાણોને પ્રોત્સાહન આપતી ભ્રામક જાહેરાતોનો સમાવેશ થાય છે. ઈશા ફાઉન્ડેશન આવી નકલી સામગ્રીને દૂર કરવા અને લોકોને આવા કૌભાંડોનો શિકાર બનતા અટકાવવા માટે સક્રિયપણે કાર્યરત છે.’
