(Photo by SUJIT JAISWAL/AFP via Getty Images)

કોરોના મહામારીને કારણે વિશ્વભરના લોકો પરેશાન છે. આ વાઇરસના ઇન્ફેક્શનને કારણે દરેક વ્યક્તિ અનેક પ્રકારની મુશ્કેલી અનુભવે છે. વાઇરસનું સંક્રમણ ન ફેલાય તે માટે લોકો ઘરમાં જ રહેવાનું પસંદ કરે છે. આ સ્થિતિમાં સામાન્ય લોકોની સાથે બોલીવૂડ સેલીબ્રિટઝ પણ કંટાળો અનુભવે છે. થોડા દિવસ પહેલા પીઢ અભિનેતા ધર્મેન્દ્રએ પણ કહ્યું હતું કે, હવે તેઓ પણ આ મહામારીને કારણે પરેશાન થઈ ગયા છે.
તેઓ પોતાના ફાર્મ હાઉસ પર સમય વિતાવે છે અને ત્યાંથી સોશિયલ મીડિયા પર ખૂબ જ સક્રિય છે. તેમણે તાજેતરમાં ઇન્સ્ટાગ્રામ પર પોતાનો એક વીડિયો પોસ્ટ કર્યો હતો. તેમાં તેમણે જણાવ્યું હતું કે, આ ઇન્ફેક્શનને કારણે તેઓ કંટાળી ગયા છે. વીડિયોમાં તેઓ કહે છે કે, ‘મિત્રો, કોરોનાએ દુનિયાને ઘેરી લીધી છે. હું મારા ફાર્મ હાઉસ પર લોકડાઉન કરતા એક દિવસ પહેલા અહીં આવ્યો હતો. રોજ હું સમાચાર સાંભળતો રહું છું, દુઃખ થાય છે. હું પ્રાર્થના કરું છું કે આ રોગ ઝડપથી સમાપ્ત થાય. તમે બધા પોતાનું ધ્યાન રાખો. જેમ જેમ તમને સૂચના મળી રહી છે, તમારે તેનું પાલન કરવું પડશે અને હું પ્રાર્થના કરું છું કે કોરોના તમને સ્પર્શ પણ ન કરે. બધા ખુશ રહો. તમને સૌને પ્રેમ કરું છું.’