પ્રતિકાત્મક તસવીર (istockphoto.com)

કોલસા કૌભાંડમાં સીબીઆઇની સ્પેશિયલ કોર્ટે ભૂતપૂર્વ કેન્દ્રીય પ્રધાન દિલીપ રે સહિત કુલ ત્રણ વ્યક્તિને સોમવારે ત્રણ વર્ષની જેલની સજા ફટકારી હતી. ત્રણ વર્ષની જેલ ઉપરાંત કોર્ટે પચીસ લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો હતો. કોર્ટે અગાઉ સુનાવણી દરમિયાન જ આ ત્રણે દોષિત જાહેર થયા હતા, પરંતુ સુનાવણીમાં આ લોકો ગેરહાજર હતા, તેથી સજા સંભળવામાં આવી ન હતી.

કોર્ટે ત્રણે જણને એ પછીની સુનાવણીમાં રૂબરૂ હાજર રહેવાની તાકીદ કરી હતી. સોમવારે આ ત્રણે દોષિતોને ત્રણ ત્રણ વર્ષની જેલની સજા ફટકારવામાં આવી હતી.અટલ બિહારી વાજપેયી સરકારના રાજ્ય કક્ષાના કેન્દ્રીય પ્રધાન દિલિપ રેને ગુનાહિત ષડયંત્ર સહિતના આરોપમાં દોષિત ઠેરવવામાં આવ્યા હતા.

1999માં ઝારખંડના ગિરિદીહ વિસ્તારની કોલસા ખાણમાં થયેલા કૌભાંડમાં દિલીપ રે સહિત કેટલાક લોકો સામે સીબીઆઇની તપાસ ચાલી રહી હતી. સીબીઆઇની સ્પેશિયલ કોર્ટે આ ત્રણેને છઠ્ઠી ઓક્ટોબરની સુનાવણીમાં દોષિત જાહેર કર્યા હતા. દિલીપ રેના વકીલે જામીન માટે અરજી કરવાનો અને આ સજા સામે અપીલ કરવાની જાહેરાત કરી હતી.
સીબીઆઇએ તો આ કૌભાંડીઓને આજીવન કેદની સજા કરવાની હિમાયત કરી હતી, પરંતુ આરોપીઓના વકીલે એવી દલીલ કરી હતી કે આ આરોપીઓનો કોઇ ગુનાહિત રેકોર્ડ નથી, આ તેમનો પહેલો ગુનો છે એટલે તેમને થોડી રાહત આપવી જોઇએ. ખાણ મંત્રાલયના ભૂતપૂર્વ સચિવ એચ સી ગુપ્તાને પણ ત્રણ વર્ષની જેલની સજા એક લાખ રૂપિયાનો દંડ થયો હતો.