પ્રતિકાત્મક તસવીર (istockphoto.com)

ગુજરાતમાં હવેથી ધોરણ-1 અને 2થી જ અંગ્રેજી વિષય દાખલ કરવામાં આવશે તેવી રાજ્યના શિક્ષણ પ્રધાન જીતુ વાઘાણીએ ગુરુવારે જાહેરાત કરી હતી. હાલમાં રાજ્યમાં પાંચમાં ધોરણથી અંગ્રેજી વિષય ભણાવવામાં આવે છે. પરંતુ હાલમાં અંગ્રેજીનું જ્ઞાન હોવું અત્યંત જરૂરી બની ગયું છે અને તેવામાં ગુજરાતના વિદ્યાર્થીઓ પણ અંગ્રેજીમાં પાછળ ન રહી જાય તે માટે સરકાર શરૂઆતથી જ આ વિષય ભણાવવાનું શરૂ કરશે.

જીતુ વાઘાણીએ જણાવ્યું હતું કે, ગુજરાતી વિષય તો ફરજિયાત રહેશે જ પરંતુ આ તેની સાથે અંગ્રેજી વિષય પણ દાખલ કરવામાં આવશે. વર્તમાન સમયમાં અંગ્રેજી આવડવું ઘણું મહત્વનું બની ગયું છે અને તેનું મહત્વ પણ વધ્યું છે. મલ્ટિનેશનલ કંપનીમાં નોકરીની વાત હોય કે પછી વિદેશમાં જવા માટે અંગ્રેજી ભાષાની જરૂર પડે છે. તેથી બાળકો નાનપણથી જ અંગ્રેજીમાં પકડ મજબૂત બનાવશે તો આગળ જતાં તેમને તકલીફનો સામનો કરવો પડશે નહીં. વિદ્યાર્થીઓના ભવિષ્યના હિતને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકાર દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે. આ ઉપરાંત તેમણે જણાવ્યું હતું કે, શિક્ષણ વિભાગ દ્વારા 3300 વિદ્યા સહાયક ભરતીનું કામચલાઉ મેરિટ લિસ્ટ વિભાગની વેબસાઈટ પર જાહેર કરવામાં આવશે.