બોલીવૂડમાં દર વર્ષે મોટી સંખ્યામાં ફિલ્મ રિલીઝ થાય છે અને તેમાંથી ગણતરીની ફિલ્મો જ હિટ થાય છે. ફિલ્મની સફળતા સુનિશ્ચિત કરવા માટે ઘણી વખત મોટી સ્ટાર કાસ્ટ અને તોતિંગ બજેટ રાખવામાં આવે છે, પરંતુ તેના કારણે ફિલ્મો સફળ જ થશે તેની ગેરંટી આપવામાં આવતી નથી. સુપરસ્ટાર શાહરૂખ ખાન પોતે આ હકીકતનો અનુભવ કરી ચૂક્યા છે. ફિલ્મમાં શાહરૂખ હોવા છતાં ‘ઝીરો’ને સુપર ફ્લોપ ગઇ હતી. પાંચ વર્ષ પછી શાહરૂખની ‘જવાન’ રીલીઝ થઇ અને તેણે સૌથી વધુ કમાણી કરનારી શાહરૂખની ફિલ્મ તરીકે સ્થાન મેળવ્યું. છેલ્લા બે વર્ષ દરમિયાન રૂ.300થી 500 કરોડના ખર્ચે બનેલી પાંચ ફિલ્મોની વાત કરીએ તો, તેને બનાવવામાં કુલ રૂ.1900 કરોડનો ખર્ચ થયો હતો. આ પાંચમાંથી એક માત્ર ‘જવાન’ જ નફો કરી શકી હતી.
પ્રભાસની બહુચર્ચિત ‘આદિપુરુષ’ને બોલીવૂડની સૌથી મોંઘી ફિલ્મ માનવામાં આવે છે. રૂ.500 કરોડમાં બનેલી આ ફિલ્મમાં પ્રભાસની સાથે સૈફ અલી ખાન, ક્રિતિ સેનન જેવા ઘણાં જાણીતા સ્ટાર હતા. ભગવાન રામના જીવન આધારિત આ ફિલ્મનું જોરશોરથી પ્રમોશન થયું હતું, જેના કારણે એડવાન્સ બુકિંગ ફુલ થઈ ગયું હતું. જોકે ત્રણ દિવસમાં જ ઓડિયન્સનો મોહભંગ થયો અને આ ફિલ્મને બોક્સઓફિસ પર માત્ર રૂ.147 કરોડનું નેટ કલેક્શન મળ્યું.
મોંઘા બજેટની ફિલ્મો બનાવવા ઇચ્છતા પ્રોડ્યુસર્સને શાહરૂખ ખાન, રણબીર કપૂર અને સલમાન ખાન પર વધારે ભરોસો છે, પરંતુ સ્ટારડમનો જાદુ દર વખતે કમાલ કરી શકતો નથી. ફિલ્મના બજેટ કરતાં ઓછું કલેક્શન મળ્યું હોવા છતાં ફિલ્મને હિટ બતાવવા ભરચક પ્રયાસો થતા હોય છે. હાલની સ્થિતિએ ફિલ્મોની આવક માત્ર થીયેટર પર નિર્ભર રહી નથી. ઓટીટી અને સેટેલાઈટ્સ રાઈટ્સ જેવા વિકલ્પોના કારણે ફિલ્મ મેકર્સને નુકસાન ઘટાડવાની તક મળી રહે છે.
માત્ર સ્ટારને અથવા ફિલ્મના પ્રમોશનને જોઈને જ સફળતા નિશ્ચિત થતી હોવાની માન્યતાને દર્શકો સ્વીકારતા નથી. માઉથ પબ્લિસિટી જેવી જ અસર સોશિયલ મીડિયા રીવ્યૂની થાય છે. ઘણા કિસ્સામાં પ્રશંસકો પોતાના સ્ટારની ફિલ્મને મદદ કરવા પ્રમોશનલ રીવ્યૂ લખતા હોય છે. પરંતુ, અંતે દર્શકો બધું જાણતા જ હોય છે.
બોલીવૂડની અન્ય બિગ બજેટ ફિલ્મોની વાત કરીએ તો આમિર ખાનની ‘લાલસિંગ ચઢ્ઢા’, અજય દેવગનની ‘મૈદાન’ અને અક્ષય કુમારની ‘સમ્રાટ પૃથ્વીરાજ ચૌહાન’નો ઉલ્લેખ પણ કરી શકાય. ફિલ્મની રિલીઝ પહેલા અનુકૂળ માહોલ જામ્યો હોવા છતાં રિલીઝના બે દિવસમાં જ પ્રમોશનનો ફુગ્ગો ફૂટી ગયો હતો. ઓછું બજેટ અને મોટી સ્ટારકાસ્ટ ન હોવા છતાં ફિલ્મોને સફળતા નહીં મળી હોવાનું પણ અનેક વખત બન્યું છે. તેમાં શ્રદ્ધા કપૂરની ‘સ્ત્રી 2’ અને કાર્તિક આર્યનની ‘ભૂલ ભુલૈયા’નો ઉલ્લેખ કરી શકાય. ફિલ્મની સફળતાનો મદાર ઓડિયન્સ પર હોય છે ત્યારે ઓડિયન્સ માટે કન્ટેન્ટ સૌથી વધારે મહત્ત્વનું બની રહેતું હોય છે.
