(istockphoto)

ગુજરાતમાં નકલી સરકારી કચેરી ઝડપાયા પછી સોમવારે મોરબી-વાંકાનેર હાઇ-વે પર એક નકલી ટોલનાકુ ઝડપાયું હતું. પોલીસે આ અંગે ફરિયાદ દાખલ કરીને તપાસ હાથ ધરી હતી. આ મામલે ઉમિયાધામના પ્રમુખના પુત્ર, ભાજપ નેતા સહિત 5 સામે ગુનો દાખલ કરાયો હતો.

મીડિયા રીપોર્ટ મુજબ મોરબી નજીક નેશનલ હાઇવે ઓથોરિટીના હાઇવે નજીક આવેલા રોડ પર ઉચ્ચ અમલદારોની કથિત સંડોવાણી સાથે નકલી ટોલનાકું ઊભું કરી દઇ બે વર્ષથી વાહનચાલકો ટેક્સના નામે રૂપિયા ખંખેરાતા હોવાનું બહાર આવ્યું હતું. આને પગલે સરકારે તત્કાળ તપાસના આદેશ આપ્યા હતો.

સરકારના પ્રવક્તા પ્રધાન ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે આ ઘટનામાં સંડોવાયેલા કોઇને પણ છોડવામાં આવશે નહીં.

મોરબીમાં વઘાસિયા ગામ નજીક બંધ પડેલી સિરામિક ફેક્ટરી ભાડે રાખી તેમાં ટોલનાકા જેવી કેબિનો બનાવી ત્યાંથી પસાર થતાં નાના મોટા વાહનો પાસેથી રૂ.૫૦થી રૂ.૨૦૦ સુધીની ઉઘરાણી કરાતી હતી. છેલ્લા દોઢ બે વર્ષથી ફેક્ટરી માટે સામાન લઇને આવતી ટ્રકો માટેના રોડ પર ગેરકાયદે રીતે ટોલ ઉઘરાવાતો હતો. આ નકલી ટોલનાકું કેટલાક માથાભારે તત્ત્વો, ઉચ્ચ અમલદારો સાથેની સાંઠગાંઠમાં ચલાવવામાં આવતું હતું એમાં રાજકીય પીઠબળ પણ હોવાની ચર્ચા છે.

આ મામલે વ્હાઇટ હાઉસ સિરામીક કંપનીના અમરશી પટેલ સામે ગુનો નોંધાયો હતો. જો કે આ સિરામીક કંપની સિદસર ઉમિયાધામ સંસ્થાના પ્રમુખ જેરામ પટેલના પુત્રની હોવાનું બહાર આવ્યું હતું. પોલીસે જેરામ પટેલના પુત્ર અમરશી પટેલ સામે ફરિયાદ નોંધી હતી.

 

LEAVE A REPLY

three × two =