ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (આઇસીસી)એ સાત ફેબ્રુઆરીથી ભારત અને શ્રીલંકામાં સંયુક્ત રીતે યોજાઈ રહેલા T20 વર્લ્ડકપ 2026માંથી બાંગ્લાદેશને હાંકી કાઢ્યા પછી પાકિસ્તાનને નવું નાટક કર્યું છે. રવિવારની મોડી રાત્રે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (પીસીબી) અને તેની સરકારે આ ટુર્નામેન્ટની કોલંબોમાં ભારત સામે રમાનારી મેચનો બહિષ્કાર કરવાની જાહેરાત કરી હતી. જોકે આ નિર્ણય માટે કોઇ કારણ આપ્યું નથી, તેથી આઇસીસી પાકિસ્તાન ક્રિકેટ સામે આકરા પગલાં લે તેવી શક્યતા છે.
જો પાકિસ્તાન ભારત સામેની મેચ નહીં રમે તો ભારતને ઓટોમેટિક પોઇન્ટ્સ મળી જશે. હંમેશા ભારતનો વિરોધ કરતી પાકિસ્તાન સરકારે તેમની ક્રિકેટ ટીમને ભારતમાં યોજાનારા વર્લ્ડકપમાં ભાગ લેવા માટે સત્તાવાર મંજૂરી આપી છે, પરંતુ ભારત સાથેની મેચનો બહિષ્કાર કરવાની જાહેરાત કરી છે. પાકિસ્તાન સરકારના સત્તાવાર એક્સ એક્સ હેન્ડલ પર જણાવ્યું હતું કે પાકિસ્તાની ટીમ ટુર્નામેન્ટમાં રમશે, પરંતુ 15 ફેબ્રુઆરી 2026ના રોજ ભારત સામે યોજાનારી મેચમાં ભાગ લેશે નહીં.
થોડા દિવસો પહેલા જ બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડે સુરક્ષાના કારણોસર ભારતમાં રમવાનો ઈન્કાર કર્યો હતો, જેના કારણે તેને આ ટુર્નામેન્ટમાંથી બહાર કરાયું હતું અને તેના બદલે સ્કોટલેન્ડને તક અપાઈ છે. પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB)ના અધ્યક્ષ મોહસિન નક્વીએ વડાપ્રધાન શાહબાઝ શરીફ સાથે મુલાકાત કરી હતી. પાકિસ્તાન સતત બાંગ્લાદેશના સમર્થનમાં ટુર્નામેન્ટના બહિષ્કારનું નાટક કરી રહ્યું હતું. આઇસીસીએ જણાવ્યું હતું કે તે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડની સત્તાવાર માહિતીની રાહ જોઇ રહ્યું છે.











