પીએમ કેર ફંડની વિરુદ્ધ કોંગ્રેસના સત્તાવાર ટ્વિટર હેન્ડલથી કરવામાં આવેલા એક ટ્વીટને લઈને કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીની વિરુદ્ધ કર્ણાટકમાં એક કેસ દાખલ કરવામાં આવ્યો છે. પોલીસે જણાવ્યું છે કે, ટ્વીટમાં ફંડનો દુરુપયોગ કરવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો.

શિવમોગા જિલ્લામાં સાગર વિસ્તારની પોલીસે બુધવારે પ્રવીણ કે વી નામના વ્યક્તિની ફરિયાદ પર કેસ દાખલ કર્યો હતો. ફરિયાદમાં આક્ષેપ કરવામાં આવ્યો કે, કોંગ્રેસના સત્તાવાર ટ્વિટર હેન્ડલથી ટ્વીટમાં નિરાધાર આરોપ લગાવીને પ્રજાની વચ્ચે અવિશ્વાસ પેદ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. પ્રદેશ કોંગ્રેસે કેસ દાખલ કરવા મામલે નિંદા વ્યક્ત કરી છે.

આઈપીસીની કલમ 153 અને 505 (1)(બી) હેઠળ કેસ દાખલ કરવામાં આવ્યો છે. ફરિયાદમાં આક્ષેપ કરવામાં આવ્યો છે કે, આઈએનસી ઈન્ડિયા ટ્વિટર એકાઉન્ટથી 11મેના રોજ સાંજે છ વાગ્યે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની વિરુદ્ધ સંદેશ નાંખીને પીએમ કેર ફંડના દુરુપયોગ કરવાનો આક્ષેપ કર્યો હતો. ફરિયાદકર્તાએ કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી અને ટ્વિટર એકાઉન્ટ હેન્ડલ કરનારા કોંગ્રેસ કાર્યકર્તાઓની વિરુદ્ધ કાયદાકીય કાર્યવાહીની પણ માગણી કરી છે.