પ્રતિકાત્મક તસવીર (istockphoto.com)

ભારત સરકાર ટૂંકસમયમાં ખાનગી કંપનીઓને અઠવાડિયામાં ચાર દિવસ કામ અને 12 કલાકની શિફ્ટ કરવાની મંજૂરી આપી શકે છે. નવા લેબર કોડ હેઠળ અઠવાડિયામાં 48 કલાક કામ કરવાની મર્યાદા તો યથાવત રહેશે, પરંતુ એમ્પ્લોયરને અઠવાડિયામાં 12 કલાકના ચાર વર્કિંગ, 10 કલાકના પાંચ વર્કિંગ ડે કે પછી 6-7 કલાકના છ દિવસનો ઓપ્શન મળી શકશે.

શ્રમ સચિવ અપૂર્વ ચંદ્રાના જણાવ્યા અનુસાર સરકાર કર્મચારીઓ કે પછી કંપનીઓને કોઈ દબાણ કરવા નથી માગતી. પરંતુ બદલાતા વર્ક કલ્ચર અનુસાર જો કોઈ તેમાં ફેરફાર કરવા માગે તો તેમ કરી શકે તે માટે સરકાર વિચારી રહી છે.
આ જોગવાઈ લેબર કોડનો જ એક હિસ્સો હશે અને એકવાર તે લાગુ થઈ જાય ત્યારબાદ કંપનીઓને શિફ્ટના કલાકો અને વર્કિંગ ડેમાં કર્મચારીઓની સહમતિ સાથે ફેરફાર કરવા માટે સરકારની મંજૂરી નહીં લેવી પડે. સરકારે એ પણ સ્પષ્ટતા કરી છે કે જો એમ્પ્લોયર વીકમાં ચાર વર્કિંગ ડે નક્કી કરે તો તેને ત્રણ દિવસ રજા આપવાનું ફરજિયાત રહેશે. તેવી જ રીતે જો અઠવાડિયામાં પાંચ કામકાજના દિવસો હોય તો બે દિવસ રજા આપવી પડશે.

શિફ્ટના કલાકોમાં ફેરફાર કરવાની છૂટનો ફાયદો આઈટી, તેમજ શેરિંગ સર્વિસિસને થશે. આ સિવાય બેન્કિંગ તેમજ ફાઈનાન્શિયલ ઈન્ડસ્ટ્રીમાં પણ 20-30 ટકા લોકો લાંબા કામકાજના કલાક પસંદ કરી લાંબો વિરામ પણ લઈ શકશે. આ સિવાય એચઆર તેમજ ફાઈનાન્સ ડિપાર્ટમેન્ટ્સ પણ આ વિકલ્પ અપનાવી શકે છે.

નવી જનરેશનના લોકો કામકાજ સાથે પોતાની જાતને ટાઈમ આપવાનું પણ ખાસ ધ્યાન રાખતા હોય છે ત્યારે આ કોન્સેપ્ટ તેમની પ્રોડક્ટિવિટી પણ વધારી શકે છે. આ જોગવાઈનો દેશમાં કાર્યરત વિદેશી કંપનીઓ પહેલા અમલ કરે તેવી શક્યતા છે. આમ પણ કોરોનાકાળ દરમિયાન સર્વિસ સેક્ટરના અનેક કર્મચારીઓ વર્ક ફ્રોમ હોમ કરી રહ્યા છે, ત્યારે નવું મોડેલ અપનાવવામાં કંપનીઓને ખાસ સમસ્યા નહીં થાય તેમ મનાઈ રહ્યું છે.