. (Photo by Pascal Le Segretain/Getty Images)

સંજય લીલા ભણસાલીના નિર્દેશનમાં બનેલી ‘ગંગુબાઈ કાઠિયાવાડી’ હવે 25 ફેબ્રુઆરી 2022ના રોજ થિયેટરોમાં રિલીઝ થશે. સંજય લીલા ભણસાલી બાદ આલિયા ભટ્ટે પણ પોતાની ફિલ્મની નવી રિલીઝ ડેટની જાહેરાત કરી છે. જોકે, આલિયાએ આ જાહેરાત તેના બોયફ્રેન્ડ રણબીર કપૂરના ટ્વિસ્ટ સાથે કરી છે. આલિયા ભટ્ટે ફિલ્મની નવી રિલીઝ ડેટ જાહેર કરવા માટે પોતાના તાજેતરના વેકેશનની તસવીરો શેર કરી છે. આ તસવીરોમાં આલિયા ચંદ્રની શીતળતાનો આનંદ લેતી જોવા મળે છે. આલિયાએ આ તસવીરો શેર કરતાં રણબીર કપૂરની ફિલ્મ ‘સાંવરિયા’ના ગીત ‘દેખો ચાંદ આયા’ની પંક્તિઓ લખી છે. આલિયાએ રિલીઝ ડેટ જાહેર કરતાં લખ્યું, “દેખો ચાંદ આયા…ચાંદ નઝર આયા ગંગુ પણ આવી રહી છે 25 ફેબ્રુઆરીએ.

કોરોના મહામારીના કારણે ‘ગંગુબાઈ કાઠિયાવાડી’ની રિલીઝ ડેટ અનેકવાર પાછળ ઠેલાઈ છે. આ ફિલ્મમાં અજય દેવગણ પણ મહત્વના રોલમાં જોવા મળવાનો છે. આ સિવાય હુમા કુરેશી અને સીમા પાહવા પણ જોવા મળશે. જાણીતા લેખક હુસૈન ઝૈદીના પુસ્તક ‘માફિયા ક્વીન્સ ઓફ મુંબઈ’ના એક પ્રકરણના આધારે આ ફિલ્મ બનાવવામાં આવી છે. ફેબ્રુઆરીમાં ‘ગંગુબાઈ કાઠિયાવાડી’નું વર્લ્ડ પ્રીમિયર 72મા બર્લિન ઈન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલમાં થવાનું છે.

અગાઉ એક ઈન્ટરવ્યૂમાં સંજય લીલા ભણસાલીએ કહ્યું હતું કે, આ ફિલ્મના તેમના માટે ખૂબ ખાસ છે. મહામારી દરમિયાન તેમણે આ ફિલ્મ બનાવી છે અને લોકોને બતાવવા માટે ઉત્સાહિત છે. પહેલા આ ફિલ્મ 6 જાન્યુઆરી 2022ના રોજ રિલીઝ થવાની હતી. ત્યાર બાદ તારીખ બદલીને 18 ફેબ્રુઆરી કરાઈ હતી. હવે વધુ એક અઠવાડિયું પાછળ ઠેલીને ફિલ્મને 25 ફેબ્રુઆરીએ રિલીઝ કરવાના છે.