બોચાસણવાસી શ્રી અક્ષરપુરુષોત્તમ સ્વામિનારાયણ સંસ્થા (બીએપીએસ)ના તત્કાલિન વડા પરમ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજ અને અન્ય વરિષ્ઠ સંતોના આશીર્વાદ મેળવતા રમણિકલાલ સોલંકી. પ.પૂ. પ્રમુખસ્વામી મહારાજ રમણિકલાલ પ્રત્યે ખૂબ જ સ્નેહ ધરાવતા હતા.

‘ગરવી ગુજરાત’ ન્યૂઝવીકલીના સ્થાપક તંત્રી રમણિકલાલ સોલંકીને તેમના સુદીર્ઘ કારકિર્દી દરમિયાન વિવિધ ધર્મો અને ધાર્મિક સંપ્રદાયોના અનેક વરિષ્ઠ સંતોના આશીર્વાદ પ્રાપ્ત થયા હતા. રમણિકલાલ સોલંકીએ આ સંતો સાથે તેમના સંબંધો આજીવન જાળવી રાખ્યા હતા. જ્યારે પણ લંડનમાં કોઇ સંત આવે ત્યારે તેમની સાથે અચૂક મુલાકાત થાય અને તેમના આશીર્વચન પણ તેમને મળે. આ પરમ પૂજ્ય સંતો-મહંતો રમણિકલાલ સોલંકી અને ‘ગરવી ગુજરાત’ પરિવાર માટે અપાર સ્નેહ ધરાવે છે. આ સંતો-મંહતોએ રમણિકલાલ સોલંકીના પત્રકારત્વને હંમેશા બિરદાવીને તેમને સમાજલક્ષી સેવા કાર્યો કરવા માટે પીઠબળ પૂરું પાડ્યું છે અને તેમના વિવિધ ઉદાહરણીય કાર્યોની નોંધ લઇને જુદા જુદા સ્તરે પ્રશંસા વ્યક્ત કરી છે.