અમદાવાદ સિવિલ મેડીસીટીમાં આવેલી કેન્સર હોસ્પિટલમાં રાજ્ય સરકારના સહયોગથી અંદાજીત 75 કરોડના ખર્ચે અત્યાધુનિક સુવિધાઓથી સજ્જ રેડીયાથેરાપી સારવારને લગતા વિવિધ મશીનો કાર્યરત કરાવવામાં આવી છે તેમ નાયબ મુખ્ય પ્રધાન નીતિનભાઇ પટેલે જણાવ્યું હતું અને ટૂંક સમયમાં આ તમામ મશીનો દર્દીઓની સેવામાં કાર્યરત થશે.
પટેલે તાજેતર સિવિલ મેડીસીટી કેમ્પસમાં આવેલી ગુજરાત કેન્સર રીસર્ચ ઇન્સ્ટીટ્યુટની નવીન બિલ્ડીંગની મુલાકાત લીધી હતી. તેમણે આ નવીન બિલ્ડીંગમાં સ્થિત અત્યાધુનિક મશીનરીની મુલાકાત લઇને માહિતી મેળવી હતી. સમગ્ર દેશમાં સરકારી હોસ્પિટલમાં કેન્સરગ્રસ્ત દર્દીઓની રેડીયોથેરાપી માટેના આ પ્રકારના અત્યાધુનિક મશીન કાર્યરત કરવામાં આવ્યા હોય તેવું ગુજરાત પ્રથમ રાજ્ય હોવાનું પટેલે જણાવ્યું હતું.
આ પ્રકારના રેડીયોથેરાપી મશીન કેન્સરગ્રસ્ત દર્દીઓની પીડાના સચોટ નિદાન કરીને તેની સત્વરે અને ચોક્કસ સારવાર કરવામાં અત્યંત લાભદાયી છે. આ પ્રકારના અત્યાધુનિક સુવિધાઓથી સજ્જ મશીન કેન્સરગ્રસ્ત અંગ અથવા કોશિકાના માઇક્રો અથવા મીલીમીટર જેટલા ભાગનું પણ નિદાન કરીને સારવાર કરવામાં સક્ષમ છે.
ઉક્ત રેડીયોથેરાપી મશીનરી દેશની જૂજ હોસ્પિટલમાં જ જોવા મળે તેમ જણાવી અમેરિકા અને યુરોપ જેવા દેશમાંથી આ પ્રકારના મશીન સરકારી ખર્ચે ઉપલબ્ધ થયા છે. અગાઉ સમગ્ર રાજ્યમાં કેન્સરગ્રસ્ત દર્દીઓની સારવાર માટે અમદાવાદ સીવિલ મેડિસીટીમાં આવેલી કેન્સર હોસ્પિટલ જ એકમાત્ર કેન્દ્ર હતું. જે કારણોસર અહીં દર્દીઓનો ધસારો જોવા મળતો હતો. કેન્સરની સર્જરી માં પણ લાબું વેઇટીંગ જોવા મળતું હતુ.
રાજ્ય સરકારએ આ સ્થિતિ પારખીને દર્દીઓની આરોગ્ય સુખાકારીમાં વધારો કરવા જામનગર, વડોદરા,રાજકોટ, ભાવનગર જેવા જિલ્લાઓમાં પણ કેન્સર હોસ્પિટલ કાર્યરત કરીને સ્થાનિક સ્તરે જ કેન્સરગ્રસ્ત દર્દીઓને સત્વરે સારવાર મળી રહે તે માટેનું સુદ્રઢ આયોજન હાથ ધર્યું છે.
હાલ કેન્સરના જૂના બિલ્ડીંગમાં 300 પથારી કાર્યરત છે. કેન્સરનું નવીન બિલ્ડીંગ સંપૂર્ણ પણે કાર્યરત બનતા કેન્સરગ્રસ્ત દર્દઓની સારવારમાં કુલ 600 પથારીની વ્યવસ્થા ઉપલબ્ધ બનશે. કેન્સરના નવીન બિલ્ડીંગ માં 15 ઓપરેશન થીયેટર બનાવવામાં આવ્યા છે અને બોનમેરો ટ્રાન્સ્પ્લાન્ટ માટેની સુવિધાઓ ત્રણ ગણી વધારવામાં આવી છે.