કોરોના વાયરસના નવા વેરિયન્ટ ઓમિક્રોનના ભયના પગલે દુનિયા આખી ફરી એકવાર એલર્ટ થઈ રહી છે ત્યારે ગુજરાત રાજ્ય સરકારના આરોગ્ય વિભાગના અધિકારીઓએ પણ પૂરતી તૈયારી કરવા માટે સોમવારે ટોચના સ્તરની બેઠક બોલાવી હતી .જેમાં 1 ડિસેમ્બરથી આંતરરાષ્ટ્રીય મુસાફરો માટે SOPsના કડક અમલીકરણ માટે શહેરની એરપોર્ટ ઓથોરિટીઝ પણ આ બેઠકમાં સામેલ થઈ હતી.

આ બેઠકમાં ચર્ચા થયા અનુસાર અમદાવાદ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર RT-PCR કોવિડ પરીક્ષણને વધુ વેગ આપવામાં આવશે, જેમાં ભારત સરકાર દ્વારા જે દેશોને ઓમિક્રોન વાયરસ માટે ‘જોખમરુપ’ ગણાવવામાં આવ્યા છે તેવા દેશોમાંથી આવતા તમામ મુસાફરોને અરાઇવલ પર ફરજિયાતપણે RT-PCR પરીક્ષણમાંથી પસાર થવું પડશે. ‘જોખમરુપ’ દેશમાંથી આવતા મુસાફરો માટે અલગ કતાર પણ બનાવવામાં આવશે. જો તેમનો રિપોર્ટ પોઝિટિવ આવશે તો તેમને સીધા જ રાજ્ય સરકાર હસ્તકના નિરીક્ષણ કેન્દ્રોમાં ખસેડવામાં આવશે અને અહીં તેમને આઈસોલેટ કરવામાં આવશે. ટોચના સૂત્રોએ જણાવ્યું હતું કે જેમ મહામારીની શરૂઆત અને બાદમાં યુકેમાંથી આલ્ફા વેરિયન્ટના ભયને પગલે સરકારી અને ખાનગી એમ બંને પ્રકારના આઇસોલેશન સેન્ટરો તૈયાર કરવામાં આવ્યા હતા તેવી જ રીતે ઓમિક્રોન વેરિયન્ટ ધરવતા શંકાસ્પદ મુસાફરો માટે અલાયદી વ્યવસ્થા કરવામાં આવશે.

રાજ્યના આરોગ્ય કમિશનર જય પ્રકાશ શિવહરેએ જણાવ્યું હતું કે રાજ્ય સરકાર આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓની કડક તપાસ સુનિશ્ચિત કરવા માટે તમામ સાવચેતીના પગલાં લઈ રહ્યું છે. “અમે સુનિશ્ચિત કરીશું કે પ્રવાસીઓને કોઈ અસુવિધા ન થાય. સેમ્પલ કલેક્શન અને ટેસ્ટિંગ માટે પૂરતી ટીમો રહેશે. એરલાઇન્સ દ્વારા તમામ માહિતી અગાઉથી પૂરી પાડવામાં આવશે જેથી પ્રવાસીઓ આગમન સમયે એસઓપીથી વાકેફ રહે.” શિવહરેએ વરિષ્ઠ અધિકારીઓ સાથે સોમવારે સાંજે એરપોર્ટની મુલાકાત પણ લીધી હતી. આરોગ્ય વિભાગના ટોચના સૂત્રોએ જણાવ્યું હતું કે ગુજરાતમાંથી તમામ પોઝિટિવ સેમ્પલ જીનોમિક સિક્વન્સિંગ માટે ગુજરાત બાયોટેકનોલોજી રિસર્ચ સેન્ટર (GBRC) ખાતે મોકલવામાં આવશે. જિનોમ સિક્વન્સિંગમાં આંતરરાષ્ટ્રીય મુસાફરો જેના રિપોર્ટ પોઝિટિવ આવશે તેમને પ્રાથમિકતા આપવામાં આવશે. અધિકારીઓએ જણાવ્યું હતું કે આગામી થોડા દિવસોમાં એરપોર્ટ, રેલ્વે સ્ટેશન, બસ ડેપો અને હાઇવે સહિત વિવિધ સ્થળોએ આવનારા પ્રવાસીઓના ટેસ્ટની સંખ્યામાં વધારો કરવામાં આવશે.

આગામી બે મહિના ગુજરાત માટે નિર્ણાયક છે જેમાં લગ્નની સિઝન તેમજ હાઈ પ્રોફાઈલ વાઇબ્રાન્ટ ગુજરાત સમિટ 2022 ની આસપાસ નિર્ધારિત કાર્યક્રમોની વણઝારના કારણે આંતરરાષ્ટ્રીય મુસાફરોની સંખ્યામાં તીવ્ર વધારો જોવા મળી શકે છે. SOP અનુસાર આ દેશોના તમામ પ્રવાસીઓએ આગમન પર RT-PCR કરાવવું પડશે. જો તેમનો ટેસ્ટ પોઝિટિવ આવે, તો તેમને આઈસોલેશન સુવિધામાં દાખલ કરવામાં આવશે. જો તેમનો ટેસ્ટ નેગેટિવ આવે તો પણ તેઓએ સાત દિવસ સુધી હોમ-ક્વોરેન્ટાઈન રહેવું પડશે અને 8મા દિવસે બીજો RT-PCR રિપોર્ટ કરાવવો પડશે. અન્ય દેશોના પ્રવાસીઓ માટે પણ, રાજ્યમાં પ્રવેશવા માટે નેગેટિવ RT-PCR આવશ્યક છે.