ગુજરાતમાં કોરોના વાયરસ પોતાનો આતંક દિવસેને દિવસે વધારી રહ્યો હોય તેવું લાગી રહ્યું છે. છેલ્લા 12 કલાકમાં રાજ્યના હોટસ્પોટ ગણાતા અમદાવાદ અને સુરતમાં બે-બે મોત નિપજ્યા છે. જોકે, થોડા રાહતના સમાચાર એ છે કે ગુજરાતમાં રવિવારની સરખામણીએ આજે સોમવારના દિવસે કોરોનાના કેસમાં ઘટાડો નોંધાયો છે.

રવિવારે રાજ્યભરમાં કોરોનાના 354 કેસ નોંધાયા હતા જ્યારે સોમવારના દિવસે 108 કેસ જ નોંધાયા છે. આ સાથે જ રાજ્યમાં કુલ પોઝિટિવ કેસની સંખ્યા 1851 સુધી પહોંચી ગઈ છે. જેમાંથી અત્યાર સુધીમાં 106 લોકો સ્વસ્થ્ય થઈ શક્યા છે જ્યારે 67 લોકો કોરોના સામેની જંગમાં દમ તોડી ચૂક્યા છે. કુલ કોરોનાગ્રસ્તમાંથી 14 દર્દીઓની પરિસ્થિતિ ગંભીર છે જેથી તેમને વેન્ટીલેટર પર રાખવામાં આવ્યા છે.

રવિવારે ફક્ત એકલા અમદાવાદમાં જ 239 કેસ નોંધાયા હતા જ્યારે આજે ઘટીને 91 કેસ નોંધાયા છે. જ્યારે સુરત, રાજકોટ અને પંચમહાલમાંથી નવા બે-બે પોઝિટિવ કેસ મળી આવ્યા છે. જ્યારે મહીસાગર, વડોદરા, મહેસાણામાં એક-એક નોંધાયા છે.

આ ઉપરાંત છેલ્લા 12 કલાકમાં અરવલ્લી જિલ્લામાં ધનસુરા અને મોડાસા તાલુકાના ગામોમાંથી છ કેસ નોંધાયા છે. કચ્છમાં સાઉદીથી આવેલા એક વ્યક્તિમાં ઘણા દિવસો પછી સંક્રમણ દેખાતા ચિંતાનો વિષય બન્યો છે. ત્યાં એક વ્યક્તિ કોરોના પોઝિટિવ દર્દીના સંપર્કમાં આવવાથી કુલ બે નવા કેસ નોંધાયા છે.